મારું શહેર રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલમાં આધુનિક નેત્ર ચિકિત્સા સેવાઓનો પ્રારંભ.
ફેકો ટેકનોલોજીથી મોતિયાની સર્જરી શરૂ, અત્યાધુનિક સાધનોથી દર્દીઓને મળશે વધુ સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત સારવાર
રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલે નેત્ર ચિકિત્સા સેવાઓને વધુ આધુનિક અને દર્દીકેન્દ્રિત બનાવવા મહત્વપૂર્ણ પહેલ કરી છે. હોસ્પિટલમાં હવે મોતિયાની સર્જરી માટે અત્યાધુનિક ફેકોઈમલ્સિફિકેશન (Phacoemulsification) ટેકનોલોજીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અગાઉ અહીં સ્મોલ ઈન્સિઝન કેટરેક્ટ સર્જરી (SICS) દ્વારા સારવાર આપવામાં આવતી હતી, જ્યારે હવે નવી ટેકનોલોજીના અમલથી રેલવે કર્મચારીઓ, પેન્શનરો અને તેમના આશ્રિતોને સ્થાનિક સ્તરે વધુ સુરક્ષિત, ઝડપી અને ઉચ્ચ ગુણવત્તાની આંખની સારવાર ઉપલબ્ધ બનશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, હોસ્પિટલના નેત્ર વિભાગમાં ઓર્ટલી કેટારેક્ટ ફેકોઈમલ્સિફિકેશન સિસ્ટમ, તકાગી OM-9 ઓપરેટિંગ માઈક્રોસ્કોપ તેમજ હાઈ-ડેફિનેશન ડિસ્પ્લે મોનિટર જેવી અદ્યતન તબીબી સુવિધાઓ સ્થાપિત કરવામાં આવી છે. આ ઉપકરણોના ઉપયોગથી સર્જરી દરમિયાન વધુ ચોકસાઈ, સ્પષ્ટતા અને સલામતી પ્રાપ્ત થઈ રહી છે, જેના કારણે દર્દીઓને વધુ સારા પરિણામો મળી રહ્યા છે. સાથે જ સર્જરી દરમિયાન બહેતર વિઝ્યુઅલાઈઝેશન મળવાથી તબીબોની તાલીમ અને સર્જરીની ગુણવત્તામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

રાજકોટ ડિવિઝનના મુખ્ય તબીબી અધિક્ષક ડૉ. રાજકુમારએ જણાવ્યું કે હોસ્પિટલમાં હવે સામાન્ય તેમજ જટિલ બંને પ્રકારની મોતિયાની સર્જરી ઉપરાંત ટેરીજિયમ (Pterygium) જેવી આંખની બીમારીઓની સર્જરી પણ નિયમિત કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં દર મહિને સરેરાશ 12થી 14 આંખની શસ્ત્રક્રિયાઓ કરવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે 1 એપ્રિલ, 2026થી અત્યાર સુધીમાં ફેકોઈમલ્સિફિકેશન ટેકનોલોજી દ્વારા મોતિયાના 39 સફળ ઓપરેશન તેમજ ટેરીજિયમના 5 સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે. આ તમામ સર્જરી બાદ દર્દીઓને દ્રષ્ટિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે અને દર્દીઓનો સંતોષ પણ સતત વધી રહ્યો છે.
રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલના નેત્ર વિભાગના ઓપીડીમાં દરરોજ સરેરાશ 30થી 40 દર્દીઓની તપાસ કરવામાં આવે છે. હોસ્પિટલમાં તકાગી સ્લિટ લેમ્પ અને આઈવિસ ઓટોરેફ્રેક્ટોમીટર વિથ કેરાટોમીટર જેવી અદ્યતન તપાસ સુવિધાઓ ઉપલબ્ધ છે, જેના દ્વારા આંખોની વિગતવાર તપાસ, દ્રષ્ટિ પરીક્ષણ અને વિવિધ નેત્રરોગોનું ચોક્કસ નિદાન શક્ય બન્યું છે.

રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે રાજકોટ ડિવિઝન પોતાના કર્મચારીઓ, પેન્શનરો અને તેમના પરિવારજનોને આધુનિક અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રતિબદ્ધ છે. તેમના જણાવ્યા મુજબ ફેકો ટેકનોલોજીનો પ્રારંભ હોસ્પિટલના આધુનિકીકરણની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે, જેના કારણે હવે દર્દીઓને સ્થાનિક સ્તરે જ વિશ્વસનીય અને ઉચ્ચ ગુણવત્તાવાળી નેત્ર સારવાર મળી રહી છે.
તેમણે ઉમેર્યું હતું કે ભવિષ્યમાં પણ રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલમાં વધુ આધુનિક તબીબી સુવિધાઓ ઉમેરવામાં આવશે, જેથી રેલવે લાભાર્થીઓને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પૂરી પાડી શકાય.
આ નવી પહેલ પશ્ચિમ રેલવેની દર્દીકેન્દ્રિત અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આધુનિક સાધનો, નિષ્ણાત તબીબો અને સુધરેલી સારવાર પદ્ધતિઓના કારણે રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલ હવે નેત્ર ચિકિત્સા ક્ષેત્રે વધુ સક્ષમ બની છે અને રેલવે કર્મચારીઓ, પેન્શનરો તેમજ તેમના પરિવારજનોને સ્થાનિક સ્તરે ઉત્તમ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં સતત આગળ વધી રહી છે.