મારું શહેર લાયન્સ ક્લબ ઓફ જામનગર (વેસ્ટ)ની નવી ટીમ જાહેર: વૈશાલીબેન ઉદાણી પ્રમુખ, ડિમ્પલબેન રાવલ મંત્રી તરીકે સર્વાનુમતે વરણી.
જામનગર: લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ 3232-J હેઠળ કાર્યરત લાયન્સ ક્લબ ઓફ જામનગર (વેસ્ટ) દ્વારા વર્ષ 2026-27 માટે નવી કારોબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. છેલ્લા 42 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં મહત્વનું યોગદાન આપતી આ સંસ્થાએ આ વર્ષે નારી સશક્તિકરણને પ્રાધાન્ય આપતાં પ્રમુખ અને મંત્રી જેવા મહત્વના હોદ્દાઓ પર મહિલા આગેવાનોની નિમણૂક કરી છે.
નવી કારોબારી મુજબ વૈશાલીબેન ઉદાણીને ક્લબના પ્રમુખ તરીકે સર્વાનુમતે પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે પૂર્વ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલને મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત શામળશાભાઈ ઉદાણીની ખજાનચી તરીકે અને મીનાબેન ખંડેલવાલની સહ-ખજાનચી તરીકે વરણી કરવામાં આવી છે. સાથે જ વિવિધ બોર્ડ મેમ્બર્સની પણ સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી હતી.
વરણી બાદ યોજાયેલા કાર્યક્રમમાં ક્લબના સભ્યોએ નવી ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. નવી ટીમે સેવાકીય પરંપરાને વધુ મજબૂત બનાવી સમાજના વિવિધ વર્ગો સુધી લાયન્સ ક્લબની સેવાઓ પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
લાયન્સ ક્લબ ઓફ જામનગર (વેસ્ટ) છેલ્લા ચાર દાયકાથી વધુ સમયથી આરોગ્ય, શિક્ષણ, સામાજિક કલ્યાણ અને માનવ સેવા જેવા અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરી રહી છે. ખાસ કરીને જરૂરિયાતમંદ લોકોને વિવિધ સહાય ઉપલબ્ધ કરાવવાના અનેક પ્રોજેક્ટ્સ દ્વારા ક્લબે સમાજમાં આગવી ઓળખ ઉભી કરી છે.
વિકલાંગ નાગરિકોને કૃત્રિમ અંગો, ટ્રાઇસાઇકલ, વ્હીલચેર, હિયરિંગ એઇડ સહિતના સહાયક સાધનોનું વિતરણ કરવામાં ક્લબ સતત કાર્યરત રહી છે. ઉપરાંત થેલેસેમિયા અંગે જાગૃતિ ફેલાવવા અને થેલેસેમિયા પરીક્ષણ અભિયાન ચલાવવામાં પણ ક્લબે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પ્રશંસનીય કામગીરી કરી છે. આ ક્ષેત્રમાં લાયન્સ ક્લબ ઓફ જામનગર (વેસ્ટ) સમગ્ર લાયન્સ પરિવારમાં અગ્રણી સ્થાન ધરાવે છે.
નવી કારોબારીના નેતૃત્વ હેઠળ આગામી વર્ષ દરમિયાન આરોગ્ય કેમ્પ, રક્તદાન, મહિલા સશક્તિકરણ, યુવા વિકાસ, પર્યાવરણ સંરક્ષણ તથા સામાજિક સેવા સંબંધિત વિવિધ લોકકલ્યાણકારી કાર્યક્રમો વધુ વ્યાપક રીતે યોજવાની તૈયારી દર્શાવવામાં આવી છે.
ક્લબના સભ્યોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નવી ટીમના નેતૃત્વમાં લાયન્સ ક્લબ ઓફ જામનગર (વેસ્ટ) પોતાની સેવાકીય પરંપરાને વધુ વિસ્તૃત કરશે અને સમાજના અંતિમ વ્યક્તિ સુધી સેવા પહોંચાડવાના ધ્યેય સાથે કાર્ય કરીને માનવતાની ભાવનાને વધુ મજબૂત બનાવશે.