મારું શહેર વિસાવદરમાં PGVCLની અસરકારક કાનૂની કાર્યવાહી: એક જ દિવસમાં દોઢ લાખ રૂપિયાની બાકી વસૂલાત, નોટિસ મળતાં જ ગ્રાહકોએ ભરપાઈ કરી.
વિસાવદર: વિસાવદરમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા બાકી વીજ બિલોની વસૂલાત માટે હાથ ધરાયેલી કાનૂની કાર્યવાહી સફળ સાબિત થઈ છે. કોર્ટમાં દાખલ કરાયેલા દાવા અને દરખાસ્તોના અનુસંધાનમાં માત્ર એક જ દિવસમાં કંપનીને અંદાજે રૂ. 1.50 લાખની બાકી રકમની વસૂલાત થઈ હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિસાવદર PGVCL સબ-ડિવિઝન નં. 1ના અધિકારી ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ કંપનીના પેનલ એડવોકેટ નયનભાઈ આર. જોશી દ્વારા વિસાવદર કોર્ટમાં બાકી વીજ બિલ વસૂલાત માટે અલગ-અલગ છ દાવા અને છ દરખાસ્તો દાખલ કરવામાં આવી હતી. કોર્ટમાં કાર્યવાહી શરૂ થયા બાદ માત્ર 15 દિવસની અંદર જ સંબંધિત પ્રતિવાદીઓને સમન્સ અને કેસની નોટિસ પાઠવવામાં આવી હતી.
કોર્ટની નોટિસ મળતાં જ પ્રથમ સુનાવણી દરમિયાન જ કેટલાક પ્રતિવાદીઓએ બાકી રકમ ચૂકવવાનું પસંદ કર્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ, ત્રણ દાવાઓમાં સંપૂર્ણ રકમની ભરપાઈ કરવામાં આવી હતી, જ્યારે એક દરખાસ્તમાં પણ બાકી રકમ જમા કરાવવામાં આવી હતી, જેના પરિણામે PGVCLને એક જ દિવસમાં અંદાજે દોઢ લાખ રૂપિયાની વસૂલાત થઈ હતી.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, વિસાવદર કોર્ટના ન્યાયાધીશ બી.એસ. ભટ્ટ દ્વારા વીજ કંપની અને બેંકોની બાકી વસૂલાત સંબંધિત કેસોમાં સમયસર કાર્યવાહી થતી હોવાથી લેણાદારોમાં કાનૂની કાર્યવાહીનો સંદેશ ગયો છે. તેના પરિણામે ઘણા લોકો કોર્ટના આદેશની રાહ જોયા વગર જ પોતાની બાકી રકમ ભરપાઈ કરવા આગળ આવી રહ્યા છે.
આ સમગ્ર પ્રક્રિયામાં વિસાવદર કોર્ટના બેલિફ દ્વારા પણ અસરકારક કામગીરી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. સમયસર સમન્સની તામીલ અને કાનૂની પ્રક્રિયાના યોગ્ય અમલને કારણે વસૂલાતની કામગીરીમાં નોંધપાત્ર સફળતા મળી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
PGVCLના અધિકારીઓનું માનવું છે કે બાકી વીજ બિલોની વસૂલાત માટે કાનૂની કાર્યવાહી અસરકારક સાબિત થઈ રહી છે અને આગામી સમયમાં પણ બાકીદારો સામે નિયમો મુજબ કાર્યવાહી ચાલુ રહેશે. કંપનીએ વીજ ગ્રાહકોને સમયસર વીજ બિલ ભરપાઈ કરવાની અપીલ કરી છે, જેથી કાનૂની કાર્યવાહીથી બચી શકાય.