મારું શહેર દુઃખની ઘડીએ માનવતાનો હાથ: વિસાવદરના નગરસેવક નિલેશ દવેની સંવેદનશીલ કામગીરી ચર્ચામાં.
વિસાવદર: દુઃખની પળોમાં કોઈની પડખે ઊભા રહેવું એ જ સાચી માનવતા ગણાય છે. વિસાવદરના વોર્ડ નં. 3ના નગરસેવક નિલેશભાઈ દવેએ આવી જ સંવેદનશીલ કામગીરી કરીને એક પરિવારની મુશ્કેલ ઘડીમાં મદદરૂપ બની માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભારે વરસાદ વચ્ચે અંતિમવિધિ માટે જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરીને તેમણે જનપ્રતિનિધિ તરીકેની પોતાની જવાબદારી નિભાવી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યું છે.
તાજેતરમાં વિસાવદરના ગાયત્રી પ્લોટ વિસ્તારમાં, કાબરા નદીના કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારમાં રહેતા દેવીપૂજક સમાજના રવજીભાઈ પંચોળીના ધર્મપત્નીનું અવસાન થયું હતું. સતત વરસાદને કારણે વિસ્તારની સ્થિતિ મુશ્કેલ બની હતી અને પરિવારને અંતિમવિધિ માટે અનેક પ્રકારની અગવડતાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ અંગે શાસ્ત્રી જસ્મીનભાઈ જાનીએ નગરસેવક નિલેશભાઈ દવેને જાણ કરતાં તેમણે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિલેશભાઈ દવેએ મૃતદેહને માનભેર સ્મશાન સુધી લઈ જવા માટે અંતિમયાત્રાના રથની વ્યવસ્થા કરાવી હતી. ઉપરાંત પરિવારજનો માટે સ્નાન સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ રહે તે માટે પાણીના ટેન્કરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. વરસાદના કારણે અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે સ્મશાન સુધી પહોંચવાના માર્ગ અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ પણ તાત્કાલિક ઊભી કરવામાં આવી હતી.
નગરસેવક નિલેશભાઈ દવેએ પરિવારને સાંત્વના પાઠવતાં ભવિષ્યમાં પણ ચોમાસા દરમિયાન આવી પરિસ્થિતિમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર સમક્ષ જરૂરી વ્યવસ્થા કરાવવાની ખાતરી આપી હતી. તેમના આ સંવેદનશીલ અભિગમથી પરિવારને મોટી રાહત મળી હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
સ્થાનિક રહેવાસીઓએ નિલેશભાઈ દવેની ત્વરિત કામગીરી અને માનવતાભર્યા અભિગમની પ્રશંસા કરી છે. લોકોનું કહેવું છે કે જનપ્રતિનિધિ માત્ર વિકાસના કાર્યો પૂરતા મર્યાદિત ન રહે, પરંતુ લોકોના સુખ-દુઃખમાં પણ તેમની સાથે ઊભા રહે, ત્યારે જ લોકસેવાનો સાચો અર્થ સાકાર થાય છે. નિલેશભાઈ દવેની આ કામગીરીને સ્થાનિક સ્તરે માનવતા અને સેવાભાવનું એક સકારાત્મક ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર