મારું શહેર જામનગરમાં 10 દિવ્યાંગજનોને ગાર્ડિયનશીપ પ્રમાણપત્રોનું વિતરણ, કલેક્ટર પી.બી. પંડ્યાના હસ્તે એનાયત.
જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લોકલ લેવલ કમિટી (LLC) દ્વારા ગાર્ડિયનશીપ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી પી.બી. પંડ્યાના હસ્તે જિલ્લાના 10 દિવ્યાંગજનોને કાનૂની વાલીપણા (ગાર્ડિયનશીપ)ના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રમાણપત્રો દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓના હિતોનું કાનૂની રીતે રક્ષણ સુનિશ્ચિત કરવામાં આવશે.
લોકલ લેવલ કમિટી (LLC) ભારત સરકારના સામાજિક ન્યાય અને સત્તાધિકારીતા મંત્રાલય હેઠળ કાર્યરત 'ધ નેશનલ ટ્રસ્ટ એક્ટ, 1999' અંતર્ગત રચાયેલી જિલ્લા સ્તરની વૈધાનિક સમિતિ છે. આ સમિતિને વિકાસાત્મક અને બહુવિધ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે કાનૂની વાલીની નિમણૂક તથા જરૂરિયાત મુજબ તેને હટાવવાની સત્તા આપવામાં આવી છે.
આ યોજનાનો લાભ ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી, બૌદ્ધિક અક્ષમતા (મેન્ટલ રિટાર્ડેશન) અને બહુવિધ વિકલાંગતા ધરાવતા દિવ્યાંગજનોને મળે છે. દરેક જિલ્લામાં જિલ્લા કલેક્ટર સમિતિના અધ્યક્ષ તરીકે કામગીરી સંભાળે છે, જ્યારે સ્થાનિક કલ્યાણ અધિકારીઓ અને તબીબી નિષ્ણાતો પણ સમિતિના સભ્યો તરીકે જોડાયેલા હોય છે.
માતા-પિતા, પરિવારના સભ્યો અથવા નોંધાયેલ સ્થાનિક કલ્યાણ સંસ્થાઓ કાનૂની વાલીપણા માટે લોકલ લેવલ કમિટી સમક્ષ અરજી કરી શકે છે. નિયુક્ત વાલીની જવાબદારી દિવ્યાંગ વ્યક્તિની સંભાળ, સુરક્ષા તેમજ તેની મિલકત અને હિતોનું સંચાલન તેમના શ્રેષ્ઠ હિતમાં કરવાનું હોય છે.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, નિવાસી અધિક કલેક્ટરશ્રી વિમલ ચૌધરી, સંબંધિત વિભાગોના અધિકારીઓ, વાલીઓ અને દિવ્યાંગજનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વહીવટીતંત્રે આ પહેલને દિવ્યાંગજનોના અધિકારોના સંરક્ષણ અને તેમના જીવનને વધુ સુરક્ષિત અને સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું.