મારું ગુજરાત છોટાઉદેપુરના જંગલોમાં 17 મહિનાથી નર વાઘનો વસવાટ, વન વિભાગે વધાર્યું મોનિટરિંગ
ગુજરાતના વન્યજીવ પ્રેમીઓ માટે આનંદના અને સાથે જ વન વિભાગ માટે સાવચેતીના સમાચાર સામે આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના જંગલ વિસ્તારોમાં એક નર વાઘના આંટાફેરા મારતા ફોટોગ્રાફ્સ સામે આવ્યા બાદ વન વિભાગે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત દેખરેખ શરૂ કરી છે. કેમેરા ટ્રેપ અને ફિલ્ડ પેટ્રોલિંગ દ્વારા વાઘની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
વન વિભાગની તાજી માહિતી મુજબ, આ નર વાઘ છેલ્લા 17 મહિનાથી દાહોદથી લઈને છોટાઉદેપુર સુધીના અંદાજે 120 કિલોમીટર લાંબા જંગલ વિસ્તારમાં સતત અવરજવર અને વસવાટ કરી રહ્યો છે. આથી સ્પષ્ટ થાય છે કે પૂર્વ ગુજરાતના જંગલ વિસ્તાર વાઘ માટે અનુકૂળ આવાસ તરીકે વિકસી રહ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, વાઘની હિલચાલથી માનવ વસાહતોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વન વિભાગની ટીમો જંગલ વિસ્તારની નિયમિત પેટ્રોલિંગ કરી રહી છે તેમજ કેમેરા ટ્રેપના આધારે વાઘની ગતિવિધિઓનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
વન વિભાગે જંગલ વિસ્તારની આસપાસ રહેતા ગ્રામજનોને પણ સતર્ક રહેવાની અપીલ કરી છે. ખાસ કરીને રાત્રિના સમયે જંગલ વિસ્તારમાં એકલા ન જવા, પશુઓને ખુલ્લા ન છોડવા અને કોઈપણ વન્યજીવ દેખાય તો તરત જ વન વિભાગને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.
વન્યજીવ નિષ્ણાતોના મતે, ગુજરાતના જંગલોમાં વાઘની સતત હાજરી જૈવવિવિધતા અને જંગલના સ્વસ્થ પર્યાવરણનો સકારાત્મક સંકેત છે. જોકે, વાઘ અને માનવ વચ્ચે કોઈ સંઘર્ષ સર્જાય નહીં તે માટે વન વિભાગ સતત સતર્ક રહી જરૂરી તમામ સુરક્ષા અને સંરક્ષણાત્મક પગલાં લઈ રહ્યું છે.