ફૂડ આરોગ્ય મંત્રીની જાહેરાત બાદ જામનગર સહિત ગુજરાતમાં ફૂડ સેફ્ટી વિભાગનું પનીર ચેકિંગ અભિયાન શરૂ.
આરોગ્ય મંત્રીની તાજેતરની જાહેરાત બાદ ગુજરાતભરમાં ભેળસેળયુક્ત અને નબળી ગુણવત્તાના ખાદ્યપદાર્થો સામે કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવી છે. તેના ભાગરૂપે જામનગર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા પનીરના વેચાણ અને ઉત્પાદન સ્થળોએ સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
વિભાગની ટીમોએ શહેરના ડેરી પાર્લર, મીઠાઈની દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ, કૅટરિંગ એકમો તેમજ પનીરનું ઉત્પાદન અને વેચાણ કરતા વેપારીઓની અચાનક મુલાકાત લઈને પનીરના નમૂનાઓ એકત્રિત કર્યા હતા. આ નમૂનાઓને ગુણવત્તા અને શુદ્ધતાની તપાસ માટે માન્ય સરકારી પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે.
આ કાર્યવાહીનો મુખ્ય હેતુ બજારમાં ભેળસેળયુક્ત, નકલી અથવા સ્વાસ્થ્ય માટે હાનિકારક પનીરનું વેચાણ અટકાવવાનો છે. તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ખાદ્ય પદાર્થોની માંગ વધતી હોવાથી સરકાર દ્વારા ગ્રાહકોના આરોગ્યની સુરક્ષા માટે વિશેષ સતર્કતા રાખવામાં આવી રહી છે.
ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે જો તપાસ દરમિયાન કોઈ વેપારી દ્વારા ભેળસેળયુક્ત અથવા નિયમો વિરુદ્ધનું પનીર વેચાતું હોવાનું સામે આવશે તો સંબંધિત વેપારી સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડે ત્યાં દંડ, લાયસન્સ સસ્પેન્ડ અથવા રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
જામનગરમાં પણ વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનો અને ફૂડ બિઝનેસ ઓપરેટરો પાસેથી પનીરના નમૂનાઓ લેવામાં આવ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ લેબોરેટરી રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આરોગ્ય વિભાગે વેપારીઓને માત્ર પ્રમાણભૂત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રીનું વેચાણ કરવાની સૂચના આપી છે. સાથે જ ગ્રાહકોને પણ શંકાસ્પદ ગુણવત્તાનું પનીર અથવા અન્ય ખાદ્યપદાર્થ અંગે નજીકના ફૂડ સેફ્ટી વિભાગમાં ફરિયાદ કરવા અપીલ કરવામાં આવી છે.
સરકારનું માનવું છે કે નિયમિત ચેકિંગ અને કડક અમલવારીથી ભેળસેળ પર અંકુશ આવશે તેમજ લોકોને સુરક્ષિત અને ગુણવત્તાસભર ખાદ્યપદાર્થો ઉપલબ્ધ થશે.