મારું શહેર ધ્રોલમાં ‘સમરસ વિદ્યા સેતુ’ કાર્યક્રમ યોજાયો: શાળા છોડી ગયેલા બાળકોને પુનઃ શિક્ષણ સાથે જોડવાનો સંકલ્પ.
ધ્રોલ ખાતે પ્રભારી મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો
જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે પ્રભારી મંત્રી શ્રી અર્જૂનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને ‘સમરસ વિદ્યા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શાળા છોડી ગયેલા બાળકોને ફરીથી શિક્ષણની મુખ્યધારામાં જોડવાનો અને તેમના શૈક્ષણિક ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવાનો રહ્યો હતો.
કાર્યક્રમને સંબોધતા પ્રભારી મંત્રી શ્રી અર્જૂનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, શાળા છોડી ગયેલા બાળકો શાળામાં પુનઃપ્રવેશ મેળવે તે માટે સરકારની સાથે સમાજના દરેક વર્ગનો સહિયારો પ્રયાસ જરૂરી છે. કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને દરેક બાળકને શિક્ષણનો અધિકાર મળે તે માટે સૌએ સાથે મળીને કામગીરી કરવી જોઈએ.
આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે શાળામાં પુનઃપ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકોને ફરી શાળાના પરિસરમાં આવકારવામાં આવતા તેમના ચહેરા પર આનંદ જોવા મળ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન બાળકોને શાળામાં પુનઃ જોડવાની દિશામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓ તેમજ વિવિધ સંસ્થાઓનું પ્રભારી મંત્રી શ્રી અર્જૂનભાઈ મોઢવાડિયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
‘સમરસ વિદ્યા સેતુ’ જેવી પહેલનો હેતુ માત્ર શાળામાં બાળકોનો પુનઃપ્રવેશ કરાવવાનો જ નહીં, પરંતુ તેઓ નિયમિત રીતે શિક્ષણ મેળવે, અભ્યાસમાં આગળ વધે અને ભવિષ્યમાં આત્મનિર્ભર બને તે માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનો પણ છે.
કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષકો, કર્મચારીઓ, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણથી દૂર થયેલા બાળકોને ફરી શાળાના પ્રવાહમાં લાવવાની કામગીરીને વધુ વેગ આપવાનો સંકલ્પ પણ આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવ્યો હતો.