હેલ્થ મહેસાણામાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ : લાછડી ગામમાં સઘન સર્વેલન્સ શરૂ
મહેસાણા : મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો એક પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. વિસનગર તાલુકાના લાછડી ગામમાં ચાંદીપુરા વાયરસનો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી વિવિધ પ્રતિરોધાત્મક કામગીરી શરૂ કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. ગામમાં ઘરે ઘરે જઈ આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે અને શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગ દ્વારા લાછડી ગામના 183 ઘરોમાં સર્વે કરવામાં આવ્યો છે, જેમાં કુલ 821 લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે.
ચાંદીપુરા વાયરસનો ભોગ બનેલા દર્દીની હાલ GMERS વડનગર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તબીબોના જણાવ્યા અનુસાર દર્દીની હાલત હાલમાં સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા દર્દીની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
કેસ સામે આવ્યા બાદ ગામમાં રોગચાળો વધુ ન ફેલાય તે માટે તકેદારીના ભાગરૂપે દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. ઉપરાંત મચ્છર અને જીવાત નિયંત્રણ માટે મેલેથીયોન ડસ્ટિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા અને આરોગ્યલક્ષી સાવચેતી રાખવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે હાલ ગામમાંથી કોઈ નવા શંકાસ્પદ કેસ સામે આવ્યા નથી. તેમ છતાં સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
ચાંદીપુરા વાયરસમાં ખાસ કરીને 15 વર્ષથી નાના બાળકોમાં જોખમ વધુ જોવા મળતું હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા વાલીઓને વિશેષ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. બાળકોમાં તાવ, ઊલટી, અશક્તિ અથવા ખેંચ જેવા લક્ષણો જોવા મળે તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાના અથવા આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવા સૂચના આપવામાં આવી છે.
આરોગ્ય વિભાગે ગ્રામજનોને અપીલ કરી છે કે, બાળકોની તબિયત અંગે કોઈપણ પ્રકારની બેદરકારી ન દાખવવી અને શંકાસ્પદ લક્ષણો જણાય તો વહેલી તકે આરોગ્ય તંત્રનો સંપર્ક કરવો. ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.