મારું શહેર નોરતા ધામે ગુરુભક્તિનો મહાસાગર: ગુરુપૂર્ણિમાએ 25 હજારથી વધુ ભાવિકોની ઐતિહાસિક ઉપસ્થિતિ.
પાટણ, તા. 29: અષાઢ સુદ પૂનમના પવિત્ર અવસરે પાટણ જિલ્લાના નોરતા ગામ સ્થિત પવિત્ર નોરતા ધામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી શિરોમણી દોલતરામબાપુની દિવ્ય નિશ્રામાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ભવ્ય ભક્તિભાવ, આધ્યાત્મિક ઉલ્લાસ અને વૈદિક પરંપરા સાથે ઉજવાયો હતો. વહેલી સવારથી જ ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત દેશના અનેક રાજ્યો અને વિદેશમાંથી અંદાજે 25 હજારથી વધુ ગુરુભક્તો નોરતા ધામ ખાતે ઉમટી પડ્યા હતા. સમગ્ર ધામ "જય ગુરુદેવ"ના ગુંજતા જયઘોષ અને ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.
મહોત્સવ દરમિયાન પરમ પૂજ્ય સંતશ્રી શિરોમણી દોલતરામબાપુ તેમજ સંતશ્રી વિશ્વભારતી મહારાજનું વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે વિધિવત્ પૂજન, અર્ચન અને ભવ્ય આરતી કરવામાં આવી હતી. સંતો-મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં ગુરુપરંપરાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું અને ગુરુભક્તિને જીવનના સર્વોચ્ચ માર્ગ તરીકે વર્ણવવામાં આવી હતી.
પરમ પૂજ્ય દોલતરામબાપુએ પોતાના આશીર્વચનમાં માનવ સેવા, સદાચાર, સંસ્કાર, પરોપકાર અને આધ્યાત્મિક જીવનના મૂલ્યોને જીવનમાં આત્મસાત કરવાની પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું કે ગુરુ માત્ર જ્ઞાન આપનાર નથી, પરંતુ જીવનને સાચી દિશા બતાવનાર માર્ગદર્શક છે. હજારો ભાવિકોએ બાપુના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને જીવનમાં સદ્માર્ગે આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

સમગ્ર દિવસ દરમિયાન ભજન-કીર્તન, ગુરુવંદના, સત્સંગ, ધાર્મિક પ્રવચનો અને વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિમય સંગીત અને સંતવાણીના માહોલે સમગ્ર નોરતા ધામને આધ્યાત્મિક ઊર્જાથી છલકાવી દીધું હતું.
આશ્રમ ટ્રસ્ટ દ્વારા લાખો રૂપિયાના આયોજન સાથે પાર્કિંગ, પીવાના પાણી, સ્વચ્છતા, બેઠક વ્યવસ્થા, સેવાદળ, તબીબી સહાય અને વિશાળ મહાપ્રસાદની સુવ્યવસ્થિત વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. અંદાજે 25 હજારથી વધુ ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો, જે નોરતા ગામના ઇતિહાસમાં એક યાદગાર અને ઐતિહાસિક પ્રસંગ તરીકે નોંધાયો છે.
માત્ર અંદાજે પાંચ હજારની વસ્તી ધરાવતા નોરતા ગામે આ વિશાળ ધાર્મિક આયોજન દ્વારા સમગ્ર ગુજરાતનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. પરમ પૂજ્ય દોલતરામબાપુના આધ્યાત્મિક માર્ગદર્શન, સેવાકાર્ય અને સમાજકલ્યાણની ભાવનાને કારણે આજે નોરતા ધામ ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશના હજારો ભાવિકો માટે આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે.
ગુરુપૂર્ણિમાના આ મહોત્સવે ભક્તિ, સેવા અને સંસ્કૃતિનો અનોખો સમન્વય રજૂ કર્યો હતો. ઉપસ્થિત ભાવિકોએ ગુરુના આશીર્વાદ સાથે આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો અને નોરતા ધામમાં યોજાયેલ આ ભવ્ય કાર્યક્રમને જીવનભર યાદ રહે તેવી દિવ્ય અનુભૂતિ ગણાવી હતી.