ક્રાઇમ ૯ વર્ષથી ફરાર રહેલો પ્રોહિબિશન કેસનો આરોપી એલસીબીએ ઝડપી પાડ્યો.
જામનગર જિલ્લા પોલીસ દ્વારા નાસતા-ફરતા આરોપીઓ સામે હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ને મહત્વની સફળતા મળી છે. વર્ષ 2017ના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા નવ વર્ષથી ફરાર રહેલા આરોપીને એલસીબીની એબ્સકોન્ડર/પેરોલ ફોલો સ્ક્વોડે ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ રેન્જના માનનીય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) તેમજ જામનગર જિલ્લા પોલીસ વડા શ્રી ડો. રવિ મોહન સૈની (IPS) દ્વારા જિલ્લામાં વધુમાં વધુ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા અને કાયદાની પકડમાં લાવવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાનમાં એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એબ્સકોન્ડર/પેરોલ ફોલો સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.વી. ભાટીયા અને તેમની ટીમ દ્વારા સતત વોચ અને વર્કઆઉટ હાથ ધરવામાં આવી રહ્યા હતા.
દરમિયાન સ્ટાફના એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ, સલીમભાઈ નોયડા, દિલીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હાર્દિકભાઈ ભટ્ટ સહિતના પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે જામનગર સિટી “સી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના ક્રમાંક 751/2017 હેઠળ પ્રોહિબિશન એક્ટની કલમ 65(ઈ), 116(બી) અને 81 મુજબ વોન્ટેડ આરોપી લાખા રામાભાઈ કોડિયાતર (રહે. રાણપર ગામ, તા. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા) હાલમાં ભાણવડ-જામખંભાળિયા હાઇવે રોડ પર આવેલા શિવરાજ હોટલ નજીક હાજર છે.
મળેલી બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાતમી મુજબનો આરોપી ત્યાં હાજર મળી આવતા પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની અટકાયત કરી હતી. ત્યારબાદ આરોપીને વધુ પૂછપરછ અને આગળની કાર્યવાહી માટે જામનગર સિટી “સી” ડિવિઝન પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આરોપી છેલ્લા લગભગ નવ વર્ષથી પોલીસ પકડથી દૂર રહી ફરાર જીવન જીવી રહ્યો હતો. લાંબા સમયથી વોન્ટેડ રહેલા આરોપીની ધરપકડ થવાથી પ્રોહિબિશન સંબંધિત જૂના કેસમાં તપાસને નવી ગતિ મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સમગ્ર કામગીરી એબ્સકોન્ડર/પેરોલ ફોલો સ્ક્વોડના ઇન્ચાર્જ પીએસઆઈ શ્રી એમ.વી. ભાટીયાના નેતૃત્વ હેઠળ એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, સુરેશભાઈ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહિપાલભાઈ સાકડિયા, હાર્દિકભાઈ ભટ્ટ, પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તેમજ એલસીબીના હેડ કોન્સ્ટેબલ નિર્મળસિંહ જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ બળવતસિંહ પરમાર દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
જિલ્લા પોલીસ દ્વારા ફરાર આરોપીઓ સામે ચલાવવામાં આવી રહેલી આ ઝુંબેશના પરિણામે અનેક જૂના ગુનાઓના આરોપીઓ કાયદાની જાળમાં આવી રહ્યા છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.