હવામાન સુરતમાં રેડ એલર્ટને પગલે વહીવટી તંત્ર સજ્જ: રાહત-બચાવ કામગીરી માટે તાલુકાવાર વર્ગ-1 અધિકારીઓની નિમણૂક.
હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંભવિત આપત્તિ સામે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભારે વરસાદ દરમિયાન કોઈપણ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય અને નાગરિકોને સમયસર મદદ મળી રહે તે માટે રાહત અને બચાવ કામગીરીનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.
સુરત જિલ્લા કલેક્ટર દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ હેઠળ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વર્ગ-1 કક્ષાના અધિકારીઓની વિશેષ નિમણૂક કરવામાં આવી છે. આ અધિકારીઓ પોતાના નિયત વિસ્તારોમાં વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખશે તેમજ રાહત, બચાવ અને તકેદારીની કામગીરીનું સીધું સંચાલન કરશે. તમામ અધિકારીઓ સુરત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને જિલ્લા વહીવટી તંત્ર સાથે સતત સંકલનમાં રહીને કામગીરી કરશે.
જિલ્લાના વિવિધ તાલુકાઓની જવાબદારી અલગ અલગ અધિકારીઓને સોંપવામાં આવી છે. જેમાં ચોર્યાસી તાલુકા માટે નાયબ કલેક્ટર (સુડા) શ્રી તૃપ્તિ પટેલ, ઓલપાડ માટે પ્રાંત અધિકારી શ્રી પાર્થ તલસાણીયા, બારડોલી માટે પ્રાંત અધિકારી સુશ્રી જે.એન. પરમાર, મહુવા માટે સ્પીપા સુરતના નાયબ કલેક્ટર સુશ્રી કૃતિકા એ. વસાવા અને અંબિકા માટે જિલ્લા આયોજન અધિકારી સુશ્રી શીતલ માંડવીયાની નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત કામરેજ તાલુકા માટે પ્રાંત અધિકારી શ્રી વી.કે. પીપળીયા, પલસાણા માટે નાયબ કલેક્ટર સુશ્રી પલક ત્રિવેદી, માંડવી માટે માંગરોળ પ્રાંત અધિકારી શ્રી કૌશિક જાદવ, અરેઠ માટે નાયબ કલેક્ટર (પ્રોટોકોલ) શ્રી અંકિત પી. ગોહિલ, માંગરોળ માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગજેન્દ્ર એ. પટેલ અને ઉમરપાડા માટે જિલ્લા સહકારી મંડળીના નાયબ રજીસ્ટ્રાર શ્રી હરેશ કાછડને રાહત અને બચાવ કામગીરીના મૂલ્યાંકન તથા સંચાલનની જવાબદારી સોંપવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા તમામ સંબંધિત કચેરીઓ અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. ભારે વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારો, સંભવિત અસરગ્રસ્ત વિસ્તારો અને નાગરિકોની સલામતી માટે તાત્કાલિક પગલાં લેવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારોમાં કોઈપણ આપત્તિ સર્જાય તો તંત્ર દ્વારા ઝડપથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી શકાય તે માટે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
સુરત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. નાગરિકોને પણ ભારે વરસાદ દરમિયાન સાવચેતી રાખવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. કોઈપણ તાત્કાલિક મદદ માટે નાગરિકો આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, સુરતના 0261-2663200 નંબર અથવા સ્થાનિક મામલતદાર અને પ્રાંત કચેરીનો સંપર્ક કરી શકે છે.