મારું શહેર જામનગરમાં જર્જરિત ગીતાલોજ ઇમારત પર મહાનગરપાલિકાનો બુલડોઝર...
જામનગર શહેરમાં જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા જર્જરિત બનેલી ગીતાલોજ ઇમારતનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. લાંબા સમયથી ખતરનાક હાલતમાં રહેલી આ ઇમારતને તોડી પાડવાની કાર્યવાહી આજે શરૂ કરવામાં આવી હતી.
ડિમોલિશનની કામગીરી દરમિયાન ટાઉન પ્લાનિંગ શાખાની સાથે એસ્ટેટ શાખા અને ફાયર શાખાની ટીમોને પણ સ્થળ પર તૈનાત રાખવામાં આવી હતી, જેથી સમગ્ર કામગીરી સુરક્ષિત રીતે અને કોઈપણ અનિચ્છનીય ઘટના વિના પૂર્ણ કરી શકાય. પોલીસ બંદોબસ્ત સાથે આસપાસના વિસ્તારમાં જરૂરી સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.

જર્જરિત ઇમારતને તોડી પાડવા માટે એક હિટાચી મશીન અને બે JCB મશીનની મદદ લેવામાં આવી રહી છે. ભારે મશીનરી વડે ઇમારતનું તબક્કાવાર ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે, જેથી આસપાસની મિલકતોને નુકસાન ન પહોંચે અને કામગીરી સુનિયોજિત રીતે પૂર્ણ થઈ શકે.
મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, જાહેર જનતાની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા છે અને ખતરનાક હાલતમાં આવેલી જર્જરિત ઇમારતો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી, ડિમોલિશન દરમિયાન ધૂળ નિયંત્રણ અને સલામતીના તમામ જરૂરી પગલાં પણ લેવામાં આવી રહ્યા.

સ્થાનિક લોકો પણ આ કાર્યવાહીને આવકારી રહ્યા છે. લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલી આ ઇમારતના કારણે અકસ્માતનો ભય રહેતો હતો. હવે ડિમોલિશનની કામગીરી શરૂ થતાં આસપાસના રહેવાસીઓએ રાહતની લાગણી વ્યક્ત કરી છે. મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે ડિમોલિશનની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્થળથી સુરક્ષિત અંતર જાળવે અને તંત્રને સહકાર આપે.