ક્રાઇમ જામનગરમાં બે વર્ષ જૂના હત્યા કેસનો પર્દાફાશ: પત્ની, પ્રેમી સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા.
જામનગર: શહેરમાં બે વર્ષથી ગુમ થયેલા યુવકના કેસમાં પોલીસે ચોંકાવનારો ભેદ ઉકેલી કાઢ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જીગ્નેશ માવડીયાની તેની પત્ની અને તેના પ્રેમીએ મળીને કથિત રીતે દારૂમાં સાયનાઈડ પીવડાવી હત્યા કરી હતી અને બાદમાં મૃતદેહને દાટી દીધો હતો. સમગ્ર ઘટનાક્રમ બાદ પોલીસે હવે મૃતકના માનવ અવશેષો બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસ મુજબ, જીગ્નેશ માવડીયાને તેની પત્ની પૃથ્વી ઉર્ફે ભૂમિબેન માવડીયાએ પોતાના પ્રેમી નિલેશ મનસુખભાઈ કછટીયા સાથે મળીને દારૂમાં સાયનાઈડ ભેળવી પીવડાવ્યું હતું. ઝેરી અસરથી જીગ્નેશનું મોત થતાં આરોપીઓએ પુરાવા નષ્ટ કરવા માટે મૃતદેહને દાટી દીધો હતો.
ઘટના બાદ લાંબા સમય સુધી યુવક ગુમ હોવાનું માનવામાં આવતું હતું. જોકે પોલીસની સઘન તપાસ અને મળેલા મહત્વના પુરાવાઓના આધારે આશરે બે વર્ષ બાદ સમગ્ર હત્યા કાંડનો પર્દાફાશ થયો છે.
પોલીસે દરેડ વિસ્તારમાં ખોદકામ કરાવી મૃતકના માનવ અવશેષો બહાર કાઢ્યા છે. આ અવશેષોને ડીએનએ સહિતની વૈજ્ઞાનિક તપાસ માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ફોરેન્સિક તપાસના અહેવાલ બાદ વધુ પુરાવાઓ સ્પષ્ટ થશે.

આ સમગ્ર પ્રકરણમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં:
- પૃથ્વી ઉર્ફે ભૂમિબેન માવડીયા (મૃતકની પત્ની)
- નિલેશ મનસુખભાઈ કછટીયા (કથિત પ્રેમી)
- બલવીર દેવીરામ વર્મા
નો સમાવેશ થાય છે.
પોલીસે ત્રણેય આરોપીઓ સામે હત્યા, પુરાવા નષ્ટ કરવા સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ પૂછપરછ શરૂ કરી છે. તપાસ દરમિયાન હત્યાનું ચોક્કસ કારણ, ઘટનામાં અન્ય કોઈની સંડોવણી અને સમગ્ર ષડ્યંત્ર અંગેની વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.
પોલીસે જણાવ્યું છે કે કેસની તપાસ હજુ ચાલુ છે અને ફોરેન્સિક તેમજ અન્ય વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.