રાજકારણ ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી ‘નમો સ્વચ્છતા અભિયાન’નો કરાવ્યો પ્રારંભ જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ ખાતે મેયર મોનિકા વ્યાસની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો.
રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને દર્દીકેન્દ્રિત બનાવવા માટે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આજથી રાજ્યવ્યાપી **‘નમો સ્વચ્છતા અભિયાન’**નો પ્રારંભ કરવામાં આવ્યો છે. તા. ૧ જુલાઈથી ૭ જુલાઈ દરમિયાન ચાલનારા આ વિશેષ અભિયાનનો રાજ્યસ્તરીય પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત GMERS મેડિકલ કોલેજ ખાતેથી કરાવ્યો હતો. રાજ્યભરની અંદાજે ૧૨ હજારથી વધુ આરોગ્ય સંસ્થાઓ આ અભિયાનમાં જોડાઈ રહી છે.
આ અભિયાનના ભાગરૂપે જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ ખાતે મેયર મોનિકા વ્યાસની અધ્યક્ષતામાં સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યસ્તરીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ ઉપસ્થિત મહાનુભાવોએ નિહાળ્યું હતું.
મેયર મોનિકા વ્યાસે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સ્વચ્છતા માત્ર સરકારની જવાબદારી નથી પરંતુ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ દર્દીઓના ઝડપી આરોગ્યલાભ માટે મહત્વપૂર્ણ છે. સ્વચ્છ હોસ્પિટલ ગુણવત્તાસભર આરોગ્ય સેવાનો આધારસ્તંભ છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકારનું આ અભિયાન માત્ર એક સપ્તાહ પૂરતું મર્યાદિત નહીં રહે પરંતુ સ્વચ્છતાને દૈનિક જીવનશૈલીનો અભિન્ન ભાગ બનાવવાનો સંકલ્પ છે.

તેમણે આરોગ્ય કર્મચારીઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ, વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકોને પોતાના કાર્યસ્થળ અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા માટે સક્રિય સહભાગી બનવાની અપીલ કરી હતી. તેમના મતે સ્વચ્છતા દ્વારા ચેપજન્ય રોગો પર નિયંત્રણ મેળવવામાં તેમજ આરોગ્ય સેવાઓની ગુણવત્તા વધારવામાં મહત્વપૂર્ણ મદદ મળશે.
રાજ્ય સરકારના આ અભિયાન હેઠળ રાજ્યની હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC), પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), શહેરી આરોગ્ય કેન્દ્રો તથા અન્ય આરોગ્ય સંસ્થાઓમાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધરાશે. આ દરમિયાન હોસ્પિટલ પરિસરમાં વર્ષોથી પડેલા બંધ વાહનો, બિનજરૂરી મશીનો અને ભંગાર સામગ્રીનો નિકાલ કરવામાં આવશે. ઉપરાંત ફર્નિચરની મરામત, બિલ્ડિંગોની સફાઈ, વોર્ડો, ઓપરેશન થિયેટરો, પ્રયોગશાળાઓ, ઓપીડી, કેમ્પસ અને જાહેર વિસ્તારોને સ્વચ્છ બનાવવાની કામગીરી કરવામાં આવશે.

અભિયાનનો મુખ્ય હેતુ આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અને સુવ્યવસ્થિત કામગીરી દ્વારા દર્દીઓને વધુ સારી સારવાર માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાનો છે. સાથે જ હોસ્પિટલોમાં સંક્રમણનું જોખમ ઘટાડવું, કચરાના યોગ્ય વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવું અને દર્દીઓમાં વિશ્વાસ વધારવાનો પણ આ અભિયાનનો મહત્વપૂર્ણ ઉદ્દેશ છે.
કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી અને મેઘજીભાઈ ચાવડાએ પણ સંબોધન કરીને રાજ્ય સરકારના આ અભિયાનને સમયોચિત ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સ્વચ્છતા આરોગ્યનું પ્રથમ પગથિયું છે અને દરેક વ્યક્તિએ તેમાં પોતાનું યોગદાન આપવું જોઈએ.

આ પ્રસંગે કલેક્ટર પી.બી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, શાસક પક્ષના નેતા અમર મોદી, DYSP વી.કે. પંડયા, એમ.પી. શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઈ, જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. વિજય પોપટ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલું ‘નમો સ્વચ્છતા અભિયાન’ આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં વ્યાપક સ્તરે અમલમાં મૂકવામાં આવશે. સરકારને આશા છે કે આ અભિયાન માત્ર હોસ્પિટલોની સફાઈ પૂરતું મર્યાદિત નહીં રહે પરંતુ સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ વધારવામાં અને આરોગ્યપ્રદ ગુજરાતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.