ક્રાઇમ મહોરમ દરમિયાન જામનગર પોલીસની વધુ એક કાર્યવાહી: કાળા કાચવાળી ક્રેટામાં જાહેરમાં છરી લઈને ફરતો રાજકોટનો યુવક ઝડપાયો.
જામનગર: મહોરમના તહેવારો દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જામનગર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ જ અભિયાન દરમિયાન સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે જાહેરમાં ધારદાર છરી સાથે ફરી રહેલા એક યુવકને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ડોડિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ મહોરમના તહેવારને અનુલક્ષીને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં મોડી રાત્રે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન સુભાષ શાક માર્કેટ નજીક સજુબા ગર્લ્સ સ્કૂલ તરફથી કાળા કાચવાળી એક હ્યુન્ડાઈ ક્રેટા કાર શંકાસ્પદ હાલતમાં આવતી દેખાતા પોલીસે તેને રોકીને તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન કાર ચલાવી રહેલા અબ્દુલકાદીર ઇકબાલભાઈ શેખ, રહે. લાખાજીરાજ સમ્રજીવી સોસાયટી, દુધસાગર ડેરી રોડ, હૈદરી ચોક, રાજકોટની તલાશી લેવામાં આવતા તેના કબજામાંથી એક ધારદાર છરી મળી આવી હતી. જાહેર સ્થળે કોઈપણ યોગ્ય કારણ વિના ધારદાર હથિયાર સાથે ફરવું કાયદાનો ભંગ ગણાતા પોલીસે તાત્કાલિક આરોપીને કસ્ટડીમાં લીધો હતો.
પોલીસે આરોપીના કબજામાંથી મળેલી ધારદાર છરી ઉપરાંત આશરે રૂ. 5 લાખ કિંમતની હ્યુન્ડાઈ ક્રેટા કાર પણ કબજે કરી હતી. સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે સંબંધિત કાયદાની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ સમગ્ર મામલે સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ધનશ્યામસિંહ ડોડિયાની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરીને તેની પૂછપરછ શરૂ કરી છે. સાથે જ આરોપી જામનગરમાં કયા હેતુસર આવ્યો હતો, જાહેરમાં છરી સાથે કેમ ફરી રહ્યો હતો તેમજ અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે તેનો સંબંધ છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
જામનગર પોલીસના જણાવ્યા મુજબ મહોરમ સહિતના ધાર્મિક તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે. જાહેર સ્થળોએ શંકાસ્પદ વ્યક્તિઓ, વાહનો અને હથિયારો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે.
પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ, વાહન અથવા પ્રવૃત્તિ નજરે પડે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરે, જેથી સમયસર કાર્યવાહી કરી શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવી શકાય