ઈન્ડિયા રેલવેમાં મુસાફરોની ચોરી: અમદાવાદ ડિવિઝનમાંથી 4 વર્ષમાં 6.94 લાખ ચાદર-ઓશીકાની લિનન સામગ્રી ગાયબ
રાત્રિની મુસાફરી દરમિયાન મુસાફરોને આરામદાયક અને સુવિધાજનક સફર મળી રહે તે માટે ભારતીય રેલવે દ્વારા એસી કોચમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી તેમજ વંદે ભારત સ્લીપર એસી જેવી ટ્રેનોમાં મુસાફરોને ચાદર, ઓશીકું, ઓશીકાનું કવર, બ્લેન્કેટ અને ટુવાલ જેવી પથારીની સામગ્રી એટલે કે લિનન આપવામાં આવે છે. જોકે, આ સુવિધાનો કેટલાક મુસાફરો દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ડિવિઝનથી ઉપડતી ટ્રેનોમાંથી છેલ્લા ચાર વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં લિનન સામગ્રી ચોરી થઈ હોવાનું રેલવેના આંકડાઓ પરથી જાણવા મળ્યું છે.
જાન્યુઆરી 2022થી મે 2026 સુધીના સમયગાળામાં અમદાવાદ ડિવિઝનમાંથી કુલ 6.94 લાખ જેટલી ચાદર, ઓશીકાં, ટુવાલ અને અન્ય પથારીની સામગ્રી ચોરાઈ હોવાનું સામે આવ્યું છે. દેશના વિવિધ રેલવે ડિવિઝનોની સરખામણીમાં અમદાવાદ ડિવિઝન આ મામલે ચોથા ક્રમે રહ્યું છે. આ સમયગાળા દરમિયાન સૌથી વધુ લિનન સામગ્રીની ચોરી દિલ્હી ડિવિઝનમાં નોંધાઈ છે, જ્યાંથી 8.21 લાખ જેટલી વસ્તુઓ ગાયબ થઈ છે. ત્યારબાદ મુંબઈ ડિવિઝન 8.17 લાખ સાથે બીજા ક્રમે અને જોધપુર ડિવિઝન 8.09 લાખ સાથે ત્રીજા સ્થાને છે.
રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે આપવામાં આવતી આ પથારીની સામગ્રીનો ઉપયોગ મુસાફરી પૂર્ણ થયા બાદ પાછી લેવામાં આવે છે અને તેને ફરીથી ધોઈને અન્ય મુસાફરો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ મોટી સંખ્યામાં મુસાફરો દ્વારા આ સામગ્રી સાથે લઈ જવાની ઘટનાઓ સામે આવતા રેલવેને દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે. ચાદર, બ્લેન્કેટ અને ટુવાલ જેવી વસ્તુઓની વારંવાર ખરીદી અને જાળવણી પાછળ રેલવેને વધારાનો ખર્ચ કરવો પડે છે.
આંકડા મુજબ જાન્યુઆરી 2022થી મે 2026 દરમિયાન સમગ્ર દેશમાં રેલવેની કુલ 46.54 લાખ ટુવાલ, 41.13 લાખ બેડશીટ, 23.59 લાખ ઓશીકાના કવર, 12.95 લાખ બ્લેન્કેટ અને 2.76 લાખ ઓશીકાં ચોરાયા છે. આ આંકડા દર્શાવે છે કે લિનન સામગ્રીની ચોરી રેલવે માટે એક ગંભીર સમસ્યા બની રહી છે. ખાસ કરીને લાંબા અંતરની એસી ટ્રેનોમાં આ પ્રકારની ઘટનાઓ વધુ જોવા મળે છે.
વર્ષવાર આંકડા જોઈએ તો લિનન ચોરીની ઘટનાઓમાં સતત વધારો નોંધાયો છે. વર્ષ 2022માં દેશભરમાં અંદાજે 24.83 લાખ જેટલી પથારીની સામગ્રી ચોરાઈ હતી. ત્યારબાદ વર્ષ 2023માં આ આંકડો વધીને 29.67 લાખ થયો હતો. વર્ષ 2024માં 31.31 લાખ અને વર્ષ 2025માં 38.81 લાખ જેટલી લિનન સામગ્રી ગાયબ થઈ હતી. જ્યારે વર્ષ 2026માં મે મહિના સુધીમાં 2.31 લાખ જેટલી સામગ્રી ચોરાઈ હોવાનું સામે આવ્યું છે. આ રીતે ચાર વર્ષથી વધુ સમયગાળામાં કુલ 1.27 કરોડથી વધુ લિનન સામગ્રીના નુકસાનનો અંદાજ છે.
રેલવે દ્વારા સમયાંતરે મુસાફરોને અપીલ કરવામાં આવે છે કે ટ્રેનમાં આપવામાં આવતી સુવિધાઓ સરકારી સંપત્તિ છે અને તેનો દુરુપયોગ ન કરવો જોઈએ. ચાદર, ઓશીકું, બ્લેન્કેટ કે ટુવાલ જેવી વસ્તુઓ મુસાફરી દરમિયાન ઉપયોગ માટે આપવામાં આવે છે, તેને ઘરે લઈ જવા માટે નહીં. આવી ચોરીને કારણે માત્ર રેલવેને આર્થિક નુકસાન થતું નથી, પરંતુ અન્ય મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ પ્રકારની ચોરીઓ અટકાવવા માટે રેલવે દ્વારા કોચ એટેન્ડન્ટ, હાઉસકીપિંગ સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓને વધુ સક્રિય કરવામાં આવી રહ્યા છે. કેટલીક ટ્રેનોમાં લિનન સામગ્રીના હિસાબ-કિતાબ માટે ડિજિટલ સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મુસાફરોમાં જાગૃતિ લાવવા માટે પણ વિવિધ અભિયાનો ચલાવવામાં આવે છે, જેથી રેલવેની સુવિધાઓને નુકસાન ન પહોંચે.
અમદાવાદ ડિવિઝનમાંથી 6.94 લાખ લિનન સામગ્રીની ચોરીનો આંકડો રેલવે માટે ચિંતાનો વિષય બન્યો છે. મુસાફરોને આપવામાં આવતી સુવિધાઓનો સન્માનપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો રેલવેની સેવા વધુ સારી બની શકે છે. જાહેર સંપત્તિને પોતાની સંપત્તિ સમજીને તેની સુરક્ષા કરવી એ દરેક મુસાફરની જવાબદારી છે.