મારું શહેર ભારે વરસાદથી ભાદર-૨ ડેમ 70% ભરાયો, ગમે ત્યારે પાણી છોડાઈ શકે: 35થી વધુ ગામો માટે હાઈ એલર્ટ જાહેર.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે ધોરાજી પંથકનો ભાદર-૨ જળાશય ઝડપથી ભરાઈ રહ્યો છે. હાલ ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના અંદાજે 70 ટકા સુધી ભરાઈ ગયો હોવાથી વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ડેમની જળસપાટી નિયંત્રિત રાખવા માટે ગમે ત્યારે પાણી છોડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સંજોગોમાં ડેમના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
ભાદર-૨ ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવતા ધોરાજી, ઉપલેટા અને કુતિયાણા તાલુકાના અનેક ગામોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને ધોરાજીના ભોળા ગામ, કુતિયાણાના ભોગસર અને ઉપલેટાના ડુમિયાણી ગામના રહેવાસીઓને વહેલી તકે સલામત સ્થળે સ્થળાંતર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના આશરે 35થી વધુ ગામો માટે ફ્લડ કંટ્રોલ સેલ દ્વારા વિશેષ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે. ધોરાજીના ભોલગામડા, સુપેડી તેમજ ઉપલેટા, કુતિયાણા, માણાવદર અને નવી બંદર સહિતના નદીકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેત રહેવા જણાવાયું છે.
સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર ભાદર-૨ ડેમની પૂર્ણ સપાટી 53.10 મીટર છે, જ્યારે હાલમાં પાણીનું સ્તર 50.35 મીટર સુધી પહોંચી ગયું છે. ડેમમાં સતત 754 ક્યુસેક પાણીની આવક થઈ રહી હોવાથી જો વરસાદનું જોર યથાવત રહેશે તો ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય કોઈપણ સમયે લેવામાં આવી શકે છે.
ફ્લડ કંટ્રોલ સેલે લોકોને ખાસ સૂચના આપી છે કે આગામી આદેશ સુધી કોઈપણ વ્યક્તિએ નદીના પટમાં, કાંઠા વિસ્તારમાં અથવા ડેમ નજીક અવરજવર કરવી નહીં. માછીમારો, ખેડૂતો અને પશુપાલકોને પણ નદીકાંઠાના વિસ્તારોમાં ન જવા તથા પોતાના પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે અપીલ કરવામાં આવી છે.
સ્થાનિક પ્રશાસન, પોલીસ, ગ્રામ પંચાયતો અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગને પણ સંપૂર્ણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સંભવિત પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા જરૂરી સાધનો, બચાવ ટીમો અને રાહત વ્યવસ્થાઓ તૈયાર રાખવામાં આવી છે. ગ્રામજનોને અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવા અને કોઈપણ ઇમરજન્સીમાં તાત્કાલિક સ્થાનિક તંત્રનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે.
ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી 24 કલાક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. જો વરસાદ યથાવત રહેશે તો ભાદર-૨ ડેમમાંથી પાણી છોડવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા તમામ નાગરિકોએ સંપૂર્ણ સતર્કતા દાખવવી, વહીવટી તંત્રના નિર્દેશોનું પાલન કરવું અને પોતાની તેમજ પરિવારની સુરક્ષાને પ્રાથમિકતા આપવી અત્યંત જરૂરી બની છે.