મારું શહેર હારીજમાં ઝાપટપુરા વિસ્તારના નામને લઈને વિવાદ: ઓનલાઈન દસ્તાવેજોમાં ‘ઇસ્લામપુરા’ દર્શાવાતા વિરોધ, મામલતદારને આવેદનપત્ર.
પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં ઝાપટપુરા વિસ્તારના નામને લઈને વિવાદ ઉભો થતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ, ઓનલાઈન સરકારી દસ્તાવેજોમાં ઝાપટપુરા વિસ્તારનું નામ બદલીને ‘ઇસ્લામપુરા’ દર્શાવવામાં આવતું હોવાના આક્ષેપ સાથે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસની માંગ ઉઠાવવામાં આવી,
સંસ્થાઓના પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ સ્થાનિક રહેવાસીઓના રેશનકાર્ડ, આધારકાર્ડ તેમજ અન્ય કેટલાક ઓનલાઈન દસ્તાવેજોમાં વિસ્તારનું નામ ઝાપટપુરાના બદલે ઇસ્લામપુરા દર્શાવવામાં આવતું હોવાના કિસ્સાઓ સામે આવ્યા, આ ઘટનાને ગંભીર ગણાવી દસ્તાવેજોમાં જાણબૂઝીને ચેડાં કરવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી,

આ મુદ્દે સ્થાનિક નાગરિકોમાં પણ અસંતોષ જોવા મળ્યો.બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ મામલતદારને રજૂઆત દરમિયાન જણાવ્યું કે વર્ષોથી ઝાપટપુરા તરીકે ઓળખાતા વિસ્તારનું નામ ઓનલાઈન રેકોર્ડમાં અલગ રીતે દર્શાવાતા અનેક સરકારી પ્રક્રિયાઓમાં મુશ્કેલીઓ ઉભી થઈ શકે, ઉપરાંત વિસ્તારની ઐતિહાસિક ઓળખ સાથે પણ ચેડાં થવાની શક્યતા ઉભી થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા,
આવેદનપત્રમાં સમગ્ર મામલે ટેકનિકલ તેમજ વહીવટી સ્તરે તપાસ હાથ ધરી દસ્તાવેજોમાં થયેલા ફેરફાર માટે જવાબદાર વ્યક્તિઓ અથવા તત્વોને શોધી તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી, સાથે જ તમામ સરકારી ઓનલાઈન પોર્ટલ અને રેકોર્ડમાં વિસ્તારનું સાચું નામ તાત્કાલિક સુધારવાની પણ રજૂઆત કરવામાં આવી,
મામલતદારે રજૂઆત સ્વીકારી સમગ્ર મુદ્દે યોગ્ય તપાસ કરાવવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું, હાલ આ મામલો સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો રહ્યો અને તપાસ બાદ જ નામમાં ફેરફાર કેવી રીતે નોંધાયો તથા તેના માટે કોણ જવાબદાર તે સ્પષ્ટ બની શકશે. બીજી તરફ, સમગ્ર ઘટનાને લઈને વહીવટી તંત્રના આગામી પગલાં પર સ્થાનિક લોકોની નજર મંડાયેલી,
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર