ટૉપ ન્યૂઝ 4 સિંહોને આજીવન સક્કરબાગ ઝૂમાં રાખવાનો નિર્ણય
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામમાં યુવક પર જીવલેણ હુમલો કરીને તેનો ભોગ લેનારા ચાર સિંહોને વન વિભાગે આજીવન કેદ સમાન નિર્ણય હેઠળ જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં કાયમી રાખવાનો નિર્ણય કર્યો છે. લેબોરેટરી રિપોર્ટમાં આ ચારેય સિંહો માનવભક્ષણની ઘટનામાં સંડોવાયેલા હોવાની સત્તાવાર પુષ્ટિ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, થોડા દિવસો અગાઉ કોવાયા ગામ નજીક ઉત્તરાખંડના રહેવાસી પ્રકાશચંદ્ર નામના યુવક પર રાત્રિના સમયે સિંહોના ટોળાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકનું મોત નીપજ્યું હતું, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
ઘટના બાદ વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી બે પાઠડા (યુવાન સિંહ) તેમજ બે પુખ્ત સિંહો સહિત કુલ ચાર સિંહોને પાંજરે પૂર્યા હતા. ત્યારબાદ તમામ સિંહોના જરૂરી સેમ્પલ લઈ વૈજ્ઞાનિક તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
વન વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં લેબોરેટરી રિપોર્ટના આધારે આ ચારેય સિંહોએ જ માનવભક્ષણ કર્યું હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે. રિપોર્ટ બાદ વિભાગે આ સિંહોને ફરી જંગલમાં છોડવાને બદલે કાયમી કેદમાં રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
વન વિભાગના નિર્ણય મુજબ હવે આ ચારેય સિંહોને આજીવન જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવશે. માનવજીવનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમજ ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
કોવાયાની આ ઘટનાએ ગીર પંથકમાં માનવ અને વન્યપ્રાણી વચ્ચે વધતા સંઘર્ષનો મુદ્દો ફરી ચર્ચામાં લાવ્યો છે. વન વિભાગ દ્વારા હવે સંવેદનશીલ વિસ્તારોમાં સિંહોની હિલચાલ પર સતત નજર રાખવાની સાથે લોકોમાં પણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે.