હેલ્થ જામજોધપુરમાં સેવાભાવને નવી દિશા: ગાયત્રી મંદિર અને A.V.D.S. કોલેજ વચ્ચે સેવાકીય પ્રવૃત્તિઓ માટે MOU, NSS સ્વયંસેવકો હવે બનશે સેવા યજ્ઞના સહભાગી.
જામજોધપુરમાં સામાજિક સેવા અને યુવાનોમાં સેવાભાવના સંસ્કારોને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. વેદમાતા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી મંદિર, જામજોધપુર અને શ્રીમતી એ.વી.ડી.એસ. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, જામજોધપુર વચ્ચે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓના સંયુક્ત આયોજન માટે સમજૂતી કરાર (MOU) કરવામાં આવ્યો છે. આ કરારના માધ્યમથી કોલેજના NSS વિભાગના વિદ્યાર્થીઓને સમાજસેવાના વિવિધ કાર્યો સાથે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માનવસેવા, સામાજિક જવાબદારી અને રાષ્ટ્રસેવાના મૂલ્યોનું સિંચન કરવાનો.
આ MOU પર તા. 6 ઓગસ્ટ, 2026ના રોજ ગાયત્રી શક્તિપીઠ, જામજોધપુર ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ગાયત્રી મંદિરના ટ્રસ્ટી અમુભાઈ વેષણાણી તેમજ શ્રીમતી એ.વી.ડી.એસ. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અલ્કેશ વાછાણીની ઉપસ્થિતિમાં બંને સંસ્થાઓએ સેવાકીય સહયોગ માટે સત્તાવાર રીતે કરાર કર્યો હતો. આ પ્રસંગે બંને સંસ્થાઓના પ્રતિનિધિઓએ સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ અને સેવા વચ્ચેના સમન્વયને અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.
સમજૂતી કરાર મુજબ હવે કોલેજના NSS (નેશનલ સર્વિસ સ્કીમ) વિભાગના સ્વયંસેવકો ગાયત્રી મંદિર દ્વારા વર્ષ દરમિયાન આયોજિત વિવિધ સેવાકીય કાર્યક્રમોમાં સક્રિય રીતે જોડાશે. આરોગ્ય સેવા, સામાજિક જાગૃતિ, પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અભિયાન, રક્તદાન, આરોગ્ય નિદાન કેમ્પ અને અન્ય જનકલ્યાણકારી પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ પોતાની સ્વૈચ્છિક સેવા આપશે. આ પહેલથી વિદ્યાર્થીઓને પુસ્તકીય જ્ઞાનની સાથે સમાજ માટે કાર્ય કરવાનો વ્યવહારુ અનુભવ પણ મળશે.
આ પ્રસંગે ગાયત્રી મંદિરના ટ્રસ્ટીમંડળના સભ્યો નરેન્દ્રભાઈ કડીવાર, કાંતિભાઈ રામોલિયા, વી.ડી. જાડેજા સહિત અન્ય ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કોલેજ તરફથી નિલેશ ઠકરાર અને ડૉ. અનિલ હોથી સહિતના શિક્ષકગણ પણ કાર્યક્રમમાં જોડાયા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ આ સમજૂતીને સમાજસેવા ક્ષેત્રે એક નવી શરૂઆત ગણાવી હતી અને ભવિષ્યમાં વધુ સેવાકીય પ્રકલ્પો હાથ ધરવાની આશા વ્યક્ત કરી હતી.
MOU બાદ યોજાયેલા સેવા કાર્યક્રમમાં NSS સ્વયંસેવકોએ આરોગ્યલક્ષી સેવાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. નેત્ર ચિકિત્સા વિભાગમાં કુલ 130 દર્દીઓએ લાભ મેળવ્યો, જ્યારે દંત ચકાસણી વિભાગમાં 25 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત ડાયાબિટીસ સ્ક્રિનિંગ હેઠળ 63 લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી અને ફિઝિયોથેરાપી વિભાગમાં 9 દર્દીઓને સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર આરોગ્ય સેવા દરમિયાન વિદ્યાર્થીઓએ નોંધપાત્ર જવાબદારી અને સેવાભાવ સાથે કામગીરી સંભાળી હતી.
કોલેજના NSS સ્વયંસેવકોએ નોંધણી, દર્દીઓને માર્ગદર્શન, વ્યવસ્થા જાળવવા અને આરોગ્ય સેવાઓના સુચારૂ આયોજનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમની શિસ્તબદ્ધ કામગીરી અને સમર્પણના કારણે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયો હતો. સેવાકીય કાર્ય દરમિયાન દર્દીઓ અને ઉપસ્થિત લોકોએ પણ સ્વયંસેવકોની કામગીરીને બિરદાવી હતી.
કાર્યક્રમના અંતે કોલેજના ટ્રસ્ટી રમેશભાઈ કાલરિયાએ તમામ NSS સ્વયંસેવકો, ગાયત્રી પરિવારના ટ્રસ્ટીમંડળ તેમજ કાર્યક્રમના આયોજન સાથે સંકળાયેલા તમામ કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ સાથે સેવા અને સંસ્કારનું સંકલન જ સાચા અર્થમાં સમાજ નિર્માણનું કાર્ય કરે છે. ગાયત્રી મંદિર અને કોલેજ વચ્ચે થયેલો આ સમજૂતી કરાર ભવિષ્યમાં વધુ અસરકારક સેવાકીય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે અને વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક તરીકે ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.