સબરસ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસનને નવી ભેટ: નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતાવાળી ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગ.
એકતા નગર સ્થિત વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષક સુવિધાનો ઉમેરો કરવામાં આવ્યો છે. નર્મદા નદીના કુદરતી સૌંદર્ય વચ્ચે હવે પ્રવાસીઓને વધુ ભવ્ય અને આધુનિક ક્રૂઝનો અનુભવ મળી શકશે. 600 જેટલા પ્રવાસીઓને એકસાથે લઈ જવાની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક ક્રૂઝનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અગાઉથી 200 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ક્રૂઝ સેવા કાર્યરત છે, જેને પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. નર્મદા નદીમાં ક્રૂઝ સફર દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી, આસપાસના પર્વતીય વિસ્તાર અને કુદરતી દૃશ્યોનો આનંદ પ્રવાસીઓ માટે યાદગાર અનુભવ બની રહ્યો છે. વધતા પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને હવે વધુ મોટી ક્ષમતાવાળી નવી ક્રૂઝ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી છે.

નવી ક્રૂઝને પ્રવાસીઓની સુવિધા અને વિવિધ કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. આ ક્રૂઝ પર માત્ર નદી સફર જ નહીં પરંતુ જન્મદિવસની ઉજવણી, કોર્પોરેટ કાર્યક્રમો, સંગીત સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ અન્ય ખાનગી આયોજનો પણ કરી શકાશે. નર્મદા નદીના મનોહર વાતાવરણ વચ્ચે યોજાતા આવા કાર્યક્રમો લોકોને એક અનોખો અનુભવ આપશે.
આ ભવ્ય ક્રૂઝમાં અનેક આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં 600 પ્રવાસીઓ માટે મુસાફરીની વ્યવસ્થા, 250 લોકો માટે ડાઇનિંગ સુવિધા, વિશાળ સ્ટેજ અને આકર્ષક ડેકોરેટિવ લાઇટિંગની સુવિધા ઉપલબ્ધ છે. ક્રૂઝની લંબાઈ 30 મીટર અને પહોળાઈ 12 મીટર છે, જ્યારે તેમાં 5 બાય 4 મીટરનું વિશાળ સ્ટેજ પણ બનાવવામાં આવ્યું છે.

સાંજ અને રાત્રિના સમયે ક્રૂઝનું આકર્ષણ વધે તે માટે ખાસ લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે નર્મદા નદીમાં સફર દરમિયાન પ્રવાસીઓને અલગ જ પ્રકારનો દૃશ્ય અનુભવ મળશે. મોટી સંખ્યામાં લોકો એકસાથે કાર્યક્રમો યોજી શકે તેવી ક્ષમતાને કારણે આ ક્રૂઝ લગ્ન સમારંભો, પ્રોડક્ટ લોન્ચ, સામાજિક મેળાવડા અને અન્ય વિશેષ પ્રસંગો માટે પણ ઉપયોગી બનશે.
નવી ક્રૂઝ શરૂ કરતા પહેલા તમામ જરૂરી સુરક્ષા ધોરણો અને સંબંધિત વિભાગોની મંજૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ તેને પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આવશે. નવી ક્રૂઝ હાલની 200 પ્રવાસીઓની ક્ષમતાવાળી ક્રૂઝની સરખામણીમાં કદ, સુવિધા અને ક્ષમતાની દ્રષ્ટિએ વધુ આધુનિક અને વિશાળ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા એકતા નગરમાં પ્રવાસીઓને વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડવા સતત નવી પહેલ કરવામાં આવી રહી છે. આ નવી ક્રૂઝ સેવા શરૂ થયા બાદ એકતા નગરના પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ મળશે, સ્થાનિક રોજગારીની તકો વધશે અને ગુજરાતના પ્રવાસન વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાશે.