મારું શહેર ગવર્નમેન્ટ પોલિટેકનિક કોલેજ અને બોયઝ હોસ્ટેલની સમસ્યાઓ મુદ્દે ABVPનું ઉગ્ર રજૂઆત કાર્યક્રમ, ત્રણ દિવસમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી.
ગવર્નમેન્ટ પોલિટેકનિક કોલેજ તથા બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને લાંબા સમયથી પડી રહેલી વિવિધ મૂળભૂત સમસ્યાઓને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા કોલેજ પ્રશાસન સામે ઉગ્ર રજૂઆત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના પ્રશ્નોને પ્રાથમિકતા આપવાની માંગ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો અને વિદ્યાર્થીઓએ કોલેજ પ્રશાસનને આવેદનપત્ર સુપરત કર્યું હતું. ABVPના જણાવ્યા મુજબ અગાઉ પણ વિદ્યાર્થીઓની સમસ્યાઓ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને પ્રશાસનને સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ થયા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં વિદ્યાર્થીઓમાં અસંતોષ વધ્યો છે. જેના પરિણામે ફરીથી રજૂઆત કાર્યક્રમ યોજી પ્રશાસનને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આગામી ત્રણ દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.
ABVPના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માટેની મૂળભૂત સુવિધાઓ પણ પૂરતી ઉપલબ્ધ નથી. સૌથી મોટી સમસ્યા મેસની સુવિધાના અભાવની હોવાનું જણાવાયું હતું. દૂર-દૂરના ગામડાંમાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને નિયમિત અને પૌષ્ટિક ભોજન ન મળતા ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અનેક વિદ્યાર્થીઓને બહારથી મોંઘું ભોજન લેવાની ફરજ પડે છે, જેના કારણે તેમના પર વધારાનો આર્થિક બોજ પડે છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે હોસ્ટેલ માત્ર રહેવા માટેનું સ્થળ નથી, પરંતુ ત્યાં જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવી જોઈએ. છતાં લાંબા સમયથી મેસ શરૂ કરવાની માંગ છતાં કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી.
હોસ્ટેલમાં સ્વચ્છતા અંગે પણ અનેક ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ બાથરૂમ અને શૌચાલયોની નિયમિત સફાઈ કરવામાં આવતી નથી, જેના કારણે ગંદકી ફેલાય છે અને આરોગ્ય સંબંધિત જોખમો ઉભા થાય છે. ઉપરાંત પીવાના પાણીમાં TDSનું પ્રમાણ વધુ હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું હતું. શુદ્ધ પીવાનું પાણી દરેક વિદ્યાર્થીનો મૂળભૂત અધિકાર હોવા છતાં હાલ ઉપલબ્ધ પાણીની ગુણવત્તા અંગે વિદ્યાર્થીઓમાં ચિંતા જોવા મળી રહી છે. પાણીના ફિલ્ટરનું સમયસર મેન્ટેનન્સ ન થતું હોવાના કારણે સમસ્યા વધુ ગંભીર બની રહી છે. ABVPએ માંગ કરી છે કે તાત્કાલિક પાણીની ગુણવત્તાની તપાસ કરીને વિદ્યાર્થીઓને શુદ્ધ અને સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે.
સુરક્ષા વ્યવસ્થાના મુદ્દે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. રજૂઆત મુજબ હોસ્ટેલમાં લગાવવામાં આવેલા ફાયર સેફ્ટીના સાધનોની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે, છતાં તેને બદલવા અથવા નવીનીકરણ કરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આગ જેવી કોઈ અચાનક દુર્ઘટના સર્જાય તો વિદ્યાર્થીઓના જીવને જોખમ થઈ શકે છે. ABVPએ આ મુદ્દાને અત્યંત ગંભીર ગણાવી તાત્કાલિક નવા ફાયર સેફ્ટી સાધનો લગાવવા અને સમગ્ર હોસ્ટેલમાં સલામતીના ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી. વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
માત્ર હોસ્ટેલ જ નહીં પરંતુ કોલેજના શૈક્ષણિક વાતાવરણ અંગે પણ ABVPએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. રજૂઆતમાં જણાવાયું હતું કે કેટલાક પ્રોફેસરો લેક્ચરના સમય દરમિયાન વર્ગખંડમાં હાજર રહેતા નથી, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસને સીધી અસર થાય છે. ખાસ કરીને EC વિભાગના HOD એ.એમ. ભટ્ટ અંગે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેઓ લેક્ચરના સમય દરમિયાન વિદ્યાર્થીઓના ડિસિપ્લીનરી વર્કના સંદર્ભમાં કેન્ટીન પાસે ચા-નાસ્તો કરતા જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે જ્યારે શિક્ષકો સમયસર વર્ગમાં હાજર રહેતા નથી ત્યારે અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં મુશ્કેલી પડે છે અને પરીક્ષાની તૈયારી પણ પ્રભાવિત થાય છે. ABVPએ તમામ શિક્ષકો દ્વારા નિયમિત અને જવાબદારીપૂર્વક શિક્ષણ કાર્ય કરવામાં આવે તેવી માંગ કરી છે.
રજૂઆત દરમિયાન ABVPના કાર્યકરોએ સ્પષ્ટ જણાવ્યું કે તેઓ કોઈ રાજકીય હેતુથી નહીં પરંતુ વિદ્યાર્થીઓના હિત માટે આ લડત લડી રહ્યા છે. કોલેજ અને હોસ્ટેલમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીને ગુણવત્તાસભર શિક્ષણ, સ્વચ્છ વાતાવરણ, સુરક્ષિત રહેઠાણ અને જરૂરી સુવિધાઓ મળવી જોઈએ. જો પ્રશાસન સમયસર વિદ્યાર્થીઓની સમસ્યાઓનું નિરાકરણ લાવે તો આંદોલનની જરૂરિયાત ઉભી નહીં થાય. પરંતુ સતત રજૂઆતો છતાં યોગ્ય પ્રતિસાદ ન મળતા હવે વિદ્યાર્થીઓમાં અસંતોષ વધી રહ્યો છે. તેથી કોલેજ પ્રશાસને ગંભીરતાથી મુદ્દાઓનો અભ્યાસ કરીને તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.
અંતમાં ABVP દ્વારા કોલેજ પ્રશાસનને ત્રણ દિવસનું અંતિમ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો આ સમયગાળા દરમિયાન હોસ્ટેલની મેસ, પીવાનું પાણી, સ્વચ્છતા, ફાયર સેફ્ટી, ફિલ્ટર મેન્ટેનન્સ તેમજ કોલેજના શૈક્ષણિક પ્રશ્નો સહિત તમામ મુદ્દાઓનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન, ધરણા અને વિરોધ કાર્યક્રમો યોજવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે. આંદોલનના કારણે શૈક્ષણિક કાર્યમાં કોઈ વિક્ષેપ સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે તેમ ABVPએ સ્પષ્ટ જણાવ્યું છે. વિદ્યાર્થીઓના હિતને કેન્દ્રમાં રાખી પ્રશાસન તાત્કાલિક હકારાત્મક પગલાં ભરે તેવી માંગ સાથે રજૂઆત કાર્યક્રમ પૂર્ણ થયો હતો.