ધર્મ જામનગરમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવભક્તિનો માહોલ, શિવાલયોમાં ગુંજી ઉઠ્યો ‘હર હર મહાદેવ’નો નાદ.
જામનગરમાં આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે સમગ્ર શહેર ભક્તિમય માહોલમાં રંગાયું હતું. છોટીકાશી તરીકે ઓળખાતા જામનગરના વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન અને પૂજા-અર્ચના માટે ઉમટી પડ્યા હતા. શિવભક્તોના ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના નાદથી શહેરના શિવાલયો ગુંજી ઉઠ્યા હતા. ભક્તોએ મહાદેવને બિલ્વપત્ર, ફૂલહાર, દુગ્ધ અને પંચામૃત અર્પણ કરી શ્રદ્ધાપૂર્વક પૂજા કરી હતી. શ્રાવણના પ્રથમ સોમવારે ભગવાન શિવની આરાધના કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
શહેરના વિવિધ શિવમંદિરોમાં સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. શ્રદ્ધાળુઓ પરિવાર સાથે શિવાલયોમાં પહોંચ્યા હતા અને મહાદેવના શિવલિંગ પર જળાભિષેક તથા દુગ્ધાભિષેક કરી પૂજા કરી હતી. અનેક ભક્તોએ ઉપવાસ રાખી શ્રાવણ સોમવારની ધાર્મિક પરંપરા નિભાવી હતી. મંદિર પરિસરોમાં ભજન-કીર્તન અને શિવમંત્રોના જાપથી આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. ભોળાનાથના દર્શન માટે આવેલા ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર જામનગર જાણે શિવભક્તિના રંગે રંગાયેલું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.
શ્રાવણના પ્રથમ સોમવારે જામનગરના અનોખા અને ઐતિહાસિક હજારેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ વિશેષ ભક્તિ જોવા મળી હતી. નગરનું આ એકમાત્ર એવું શિવાલય હોવાનું માનવામાં આવે છે જ્યાં એક સાથે એક હજાર શિવલિંગની આરાધના કરવાની વિશેષતા છે. વહેલી સવારથી જ ભાવિકો અહીં પહોંચ્યા હતા અને એક હજાર શિવલિંગના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. મંદિર સાથે જોડાયેલી માન્યતા મુજબ ચિતાનંદ સ્વામીને મહાદેવ પ્રસન્ન થઈને દર્શન આપ્યા હતા અને ત્યારબાદ અહીં શિવાલય ઊભું કરવામાં આવ્યું હતું. આ પૌરાણિક અને ધાર્મિક માન્યતાને કારણે શ્રાવણ માસ દરમિયાન હજારો ભક્તો અહીં દર્શન માટે આવે છે.
હજારેશ્વર મહાદેવની બીજી વિશેષતા બે પોઠિયા સાથેનું શિવાલય હોવાની છે, જેના કારણે પણ આ મંદિર ભક્તોમાં વિશેષ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. શ્રાવણ માસ દરમિયાન અહીં મહાદેવની અનોખી આરાધના કરવામાં આવે છે. ભક્તોનું માનવું છે કે શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની સાચા હૃદયથી ભક્તિ અને પૂજા કરવાથી વિશેષ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. અનેક ભાવિકોએ જણાવ્યું હતું કે “એક વર્ષનું ફળ એક શ્રાવણ માસમાં મળે છે”, તેથી શ્રાવણ દરમિયાન મહાદેવની ભક્તિ કરવાનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને સોમવારના દિવસે શિવલિંગ પર અભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરવા માટે ભક્તોમાં ભારે શ્રદ્ધા જોવા મળે છે.
આમ, શ્રાવણ માસના પ્રથમ સોમવારે જામનગરમાં ભક્તિ અને આસ્થાનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. છોટીકાશીના શિવાલયોથી લઈને હજારો શિવલિંગ ધરાવતા હજારેેશ્વર મહાદેવ મંદિર સુધી દરેક સ્થળે ભક્તો મહાદેવની આરાધનામાં લીન જોવા મળ્યા હતા. વહેલી સવારથી શરૂ થયેલી પૂજા-અર્ચના અને દર્શનનો સિલસિલો દિવસ દરમિયાન પણ યથાવત રહ્યો હતો. શહેરના શિવાલયોમાં ગુંજતો ‘હર હર મહાદેવ’નો નાદ અને ભક્તોના શ્રદ્ધાભર્યા ચહેરાઓએ જામનગરને સંપૂર્ણ રીતે શિવમય બનાવી દીધું હતું. શ્રાવણના પ્રથમ સોમવારે ભોળીયા ભગવાનની આ અનોખી આરાધનાએ નગરજનોમાં ધાર્મિક અને આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કર્યો હતો.