આંતરરાષ્ટ્રીય અમેરિકન કોર્ટના નિર્ણયનું ગૌતમ અદાણીએ કર્યું સ્વાગત, કહ્યું- ‘સત્ય અને ન્યાયમાં વિશ્વાસ અડગ રહ્યો’
અમેરિકન કોર્ટના નિર્ણય બાદ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પ્રતિક્રિયા આપતા કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. અપરાધિક કેસ રદ થયા બાદ તેમણે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન સાથ આપનાર અને વિશ્વાસ વ્યક્ત કરનાર લોકોનો આભાર માન્યો હતો.
ગૌતમ અદાણીએ જણાવ્યું કે મુશ્કેલ સમયમાંથી પસાર થવા છતાં તેમનો સત્ય, ન્યાય અને કાયદાકીય પ્રક્રિયામાં વિશ્વાસ અડગ રહ્યો. તેમણે કહ્યું કે આખી પ્રક્રિયા દરમિયાન તેમણે કાયદાના શાસન અને ન્યાયવ્યવસ્થા પર વિશ્વાસ જાળવી રાખ્યો.
અદાણીએ વધુમાં જણાવ્યું કે જેઓએ તેમના પર, સમગ્ર સિસ્ટમ પર તેમજ ભારતની ન્યાય કરવાની ક્ષમતા પર વિશ્વાસ જાળવી રાખ્યો, તે તમામ લોકોનો તેઓ આભાર માને છે. તેમના મતે મુશ્કેલ પરિસ્થિતિમાં વિશ્વાસ અને ધીરજ જાળવી રાખવી ખૂબ મહત્વપૂર્ણ છે.
અમેરિકન કોર્ટના નિર્ણયને અદાણી ગ્રુપ માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે. કેસને લઈને લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા વચ્ચે આવેલા આ નિર્ણય બાદ ગૌતમ અદાણીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ આગળ પણ પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
તેમણે કહ્યું કે તેઓ દેશ માટે નિર્માણ, મૂલ્ય સર્જન અને મોટા હેતુ માટે કામ કરવાનું ચાલુ રાખશે. આ નિવેદન દ્વારા તેમણે પોતાના વ્યવસાયિક અને રાષ્ટ્રીય વિકાસ સાથે જોડાયેલા કાર્યોને આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
અદાણીની આ પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે અમેરિકન કોર્ટના નિર્ણય બાદ તેમના વિરુદ્ધ ચાલી રહેલા અપરાધિક કેસને લઈને ચર્ચા ફરી તેજ બની છે. હવે અદાણી ગ્રુપ તરફથી આગામી સમયમાં વ્યવસાય અને વિકાસલક્ષી કામગીરી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવી શક્યતા છે.