સબરસ પાસપોર્ટ વેરિફિકેશન હવે વધુ સરળ, અરજદારોને પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે; રાજ્ય પોલીસ વડાનો ફરી કડક આદેશ.
પાસપોર્ટ મેળવવા માટે પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયામાં હવે નાગરિકોને મોટી રાહત મળી શકે છે. ગુજરાતના પોલીસ મહાનિર્દેશક (DGP) દ્વારા રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારોને બિનજરૂરી રીતે પોલીસ સ્ટેશનમાં રૂબરૂ બોલાવવામાં ન આવે. આ નિર્ણયનો મુખ્ય હેતુ નાગરિકોને સરળ, પારદર્શક અને સમયબદ્ધ સેવા પૂરી પાડવાનો છે.
નવી માર્ગદર્શિકા મુજબ હવે પાસપોર્ટ વેરિફિકેશન દરમિયાન પોલીસનું મુખ્ય ધ્યાન માત્ર બે મુદ્દાઓ પર રહેશે. પ્રથમ, અરજદાર ભારતનો નાગરિક છે કે નહીં તેની ખાતરી કરવી અને બીજું, અરજદાર સામે કોઈ ગુનાઈત પૂર્વ ઇતિહાસ (ક્રિમિનલ રેકોર્ડ) છે કે નહીં તેની તપાસ કરવી. અગાઉની જેમ સરનામાની અલગથી ચકાસણી અથવા અરજદારને પોલીસ સ્ટેશનમાં હાજર રહી સહી કરાવવાની પ્રક્રિયા હવે જરૂરી રહેશે નહીં.
રાજ્ય પોલીસ વડાના આદેશ મુજબ સામાન્ય સંજોગોમાં અરજદારને રૂબરૂ મળવાની પણ જરૂરિયાત રહેશે નહીં. જો કોઈ કેસમાં પોલીસને શંકાસ્પદ માહિતી મળે અથવા વધુ તપાસની જરૂર જણાય, તો જ સંબંધિત પોલીસ કર્મચારી અરજદારના રહેઠાણની મુલાકાત લઈ શકશે. જોકે, આવા અપવાદરૂપ કિસ્સામાં પણ અરજદારને પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા માટે બોલાવી શકાશે નહીં.
ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને આ સુધારેલી પ્રક્રિયાનું કડકપણે પાલન કરવાની સૂચના આપી છે. સાથે જ તેમણે નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ નવી વ્યવસ્થાથી માહિતગાર રહે અને જો કોઈ જગ્યાએ જૂની પદ્ધતિ મુજબ બિનજરૂરી કાર્યવાહી કરવામાં આવે તો તેની જાણ સંબંધિત ઉચ્ચ અધિકારીઓને કરે.
નોંધનીય બાબત એ છે કે આવી સૂચનાઓ પહેલી વખત આપવામાં આવી નથી. વર્ષ 2011માં પણ તત્કાલીન ગુજરાત પોલીસ વડાએ પાસપોર્ટ વેરિફિકેશન દરમિયાન અરજદારોને પોલીસ સ્ટેશનમાં રૂબરૂ ન બોલાવવા અંગે પરિપત્ર જાહેર કર્યો હતો. તેમ છતાં અનેક સ્થળોએ જૂની પદ્ધતિ ચાલુ હોવાના અહેવાલોને પગલે ફરી એકવાર રાજ્ય પોલીસ વડાને સ્પષ્ટ આદેશ જાહેર કરવાની જરૂર પડી છે.
આ નવા નિર્ણયથી દર વર્ષે પાસપોર્ટ માટે અરજી કરતા હજારો નાગરિકોને સીધો લાભ મળશે. બિનજરૂરી પોલીસ સ્ટેશનના ચક્કર, સમયનો બગાડ અને પ્રક્રિયાની જટિલતા ઘટશે. સાથે જ સમગ્ર વેરિફિકેશન પ્રક્રિયા વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજ્ય સરકાર અને પોલીસ વિભાગનો પ્રયાસ છે કે સરકારી સેવાઓને વધુ નાગરિકમૈત્રી બનાવવામાં આવે અને ટેક્નોલોજીના ઉપયોગથી વહીવટી પ્રક્રિયાઓ સરળ બને. પાસપોર્ટ વેરિફિકેશન અંગેનો આ સુધારેલો અભિગમ પણ તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે, જેનાથી સામાન્ય નાગરિકોને ઝડપી અને સરળ સેવા મળી શકશે