ક્રાઇમ જેતપુર કોર્ટમાં વકીલ પર હુમલો: ઓફિસમાં ઘૂસી નજીવી વાતમાં મારામારી.
જાનથી મારી નાખવાની ધમકી આપતો આરોપી ફરાર
જેતપુર: જેતપુર કોર્ટ પરિસરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોર્ટમાં પ્રેક્ટિસ કરતા એક વકીલની ઓફિસમાં ઘૂસીને એક શખ્સે અન્ય વકીલની ઓફિસનું સરનામું પૂછવા જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાઈ જઈ વકીલ સાથે ઝપાઝપી કરી, મારપીટ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ જતાં વકીલ આલમમાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર બનાવ અંગે સીટી પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, જેતપુર કોર્ટમાં સિવિલ તેમજ ફોજદારી કેસોની વકીલાત કરતા વિક્રમભાઈ પારધી પોતાની ઓફિસમાં હાજર હતા. તે દરમિયાન પેઢલા ગામનો રહેવાસી ભરતભાઈ ભટ્ટ બ્લેક કલરના એક્ટિવા પર તેમની ઓફિસે આવ્યો હતો. તેણે ઓફિસમાં પ્રવેશ કરીને અન્ય એક વકીલની ઓફિસ ક્યાં આવેલી છે તે અંગે પૂછપરછ કરી હતી.
વકીલ વિક્રમભાઈએ તેને અન્ય વકીલની ઓફિસ બાજુમાં જ હોવાનું જણાવતાં તે વ્યક્તિ ત્યાંથી નીકળી ગયો હતો. જોકે થોડા સમય બાદ તે ફરીથી વિક્રમભાઈની ઓફિસમાં આવ્યો અને ફરી એ જ સવાલ પૂછ્યો. ત્યારે વિક્રમભાઈએ શાંતિપૂર્વક કહ્યું કે, "હમણાં જ તમને સરનામું જણાવ્યું હતું."

આટલી સામાન્ય વાત સાંભળતાં જ ભરતભાઈ ભટ્ટ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે ઉગ્ર ભાષામાં બોલવાનું શરૂ કર્યું અને "તું મને ઓળખે છે, હું કોણ છું?" કહી ધમકીભર્યા સ્વરે ઝઘડો શરૂ કર્યો હતો. બાદમાં તેણે વકીલ સાથે ઝપાઝપી કરી તેમનું ટી-શર્ટ ખેંચી નાખ્યું અને તેમને ઓફિસની બહાર ઢસડી જઈ જાહેરમાં મારપીટ કરી હતી. હુમલા દરમિયાન વકીલને શરીરે મુઢ ઇજાઓ પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
બનાવ દરમિયાન સામે આવેલી ઓફિસમાં કાર્યરત વકીલ હાદિકભાઈ ગોંડલીયા દોડી આવ્યા હતા અને વચ્ચે પડીને વિક્રમભાઈને વધુ મારથી બચાવ્યા હતા. આ દરમિયાન આસપાસના અન્ય વકીલો અને લોકો પણ એકત્ર થઈ ગયા હતા. ભીડ એકઠી થતાં આરોપી સતત ગાળો આપતો રહ્યો અને જાનથી મારી નાખવાની ધમકીઓ ઉચ્ચાર્યા બાદ પોતાના એક્ટિવા પર બેસી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
હુમલા બાદ ઇજાગ્રસ્ત વકીલ વિક્રમભાઈ પારધીએ સારવાર માટે હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. તબીબી સારવાર લીધા બાદ તેમણે સમગ્ર ઘટનાની લેખિત ફરિયાદ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
ફરિયાદના આધારે પોલીસે આરોપી ભરતભાઈ ભટ્ટ વિરુદ્ધ **ભારતીય ન્યાય સંહિતા (BNS)**ની કલમ 115(2) તેમજ 296(બી) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ આરોપીને ઝડપી પાડવા માટે વિવિધ સ્થળોએ તપાસ ચલાવી રહી છે અને સીસીટીવી ફૂટેજ સહિત અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

કોર્ટ પરિસરમાં જ વકીલ પર થયેલા હુમલાની ઘટનાને કારણે વકીલ વર્તુળમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી રહી છે. કોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની તેમજ આવા બનાવો ફરી ન બને તે માટે કડક પગલાં ભરવાની માંગ પણ ઉઠી રહી છે.
પોલીસનું કહેવું છે કે સમગ્ર ઘટનાના તમામ પાસાઓની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીને વહેલી તકે કાયદાના હવાલે કરવામાં આવશે.
ફોટો અને અહેવાલ: માનસી સાવલિયા, જેતપુર.