સબરસ પંડિત દીનદયાલ પોર્ટ ઓથોરિટીનો સશસ્ત્ર દળોને સલામ: ધ્વજદિન ભંડોળમાં રૂ. 40 લાખનું યોગદાન.
જામનગર, તા. 29: દેશની સરહદોની સુરક્ષા માટે અવિરત ફરજ બજાવતા તેમજ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓના સમયે રાષ્ટ્રસેવામાં સતત તત્પર રહેતા સશસ્ત્ર દળોના જવાનો અને તેમના પરિવારજનોના કલ્યાણ માટે પંડિત દીનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA) દ્વારા નોંધપાત્ર યોગદાન આપવામાં આવ્યું છે. ઓથોરિટીએ સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં રૂ. 40 લાખનો ચેક અર્પણ કરી રાષ્ટ્રપ્રતિની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
દીનદયાલ પોર્ટ ઓથોરિટીના અધિકારી દ્વારા આર્થિક સહાયરૂપ રૂ. 40 લાખનો ચેક જામનગરના નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી તથા જિલ્લા સૈનિક બોર્ડ, જામનગરના હેડ ક્લાર્ક મનુભાઈ પરમારને વિધિવત રીતે સુપરત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું હતું કે, સશસ્ત્ર દળોના જવાનો, ભૂતપૂર્વ સૈનિકો, શહીદોના પરિવારજનો તેમજ દિવ્યાંગ સૈનિકોના કલ્યાણ માટે ધ્વજદિન ભંડોળનું વિશેષ મહત્વ છે. આ ભંડોળમાંથી પુનર્વસન, આર્થિક સહાય, શિક્ષણ, આરોગ્ય અને અન્ય કલ્યાણકારી યોજનાઓ માટે મદદ પૂરી પાડવામાં આવે છે.
પંડિત દીનદયાલ પોર્ટ ઓથોરિટીએ સામાજિક જવાબદારી (CSR) અને રાષ્ટ્રસેવાના મૂલ્યોને અનુરૂપ આ યોગદાન આપીને દેશના વીર જવાનો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. કાર્યક્રમ દરમિયાન આ સહયોગની પ્રશંસા કરવામાં આવી હતી અને તેને સશસ્ત્ર દળોના પરિવારજનોના કલ્યાણ માટે મહત્વપૂર્ણ યોગદાન ગણાવવામાં આવ્યું હતું.
દેશની સુરક્ષા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા જવાનોના સન્માન અને તેમના પરિવારજનોના કલ્યાણ માટે વિવિધ સંસ્થાઓ અને સરકારી સંગઠનો દ્વારા કરવામાં આવતું આવું યોગદાન સમાજમાં રાષ્ટ્રપ્રેમ અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે.