મારું શહેર સુરેન્દ્રનગર સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ નિર્માણમાં મહત્વપૂર્ણ સિદ્ધિ, 12 મીટર લાંબા 'V' કોલમનું સફળ સ્થાપન.
રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને મુસાફરોને વધુ સુરક્ષિત અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોને વધુ વેગ આપતા સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર નિર્માણાધીન નવા ફૂટ ઓવર બ્રિજ (FOB)ના કામમાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. પ્રોજેક્ટ અંતર્ગત 12 મીટર લાંબા 'V' કોલમનું સ્થાપન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, 11 અને 12 જુલાઈ, 2026ના રોજ પૂર્વનિર્ધારિત આયોજન મુજબ પ્લેટફોર્મ નંબર-2 અને 3 વચ્ચે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ માટે લાઇન નંબર 3, 4, 5, 6, 7 અને 8 પર દરરોજ સવારે 6:25થી બપોરે 1:25 વાગ્યા સુધી ટ્રાફિક અને પાવર બ્લોક લેવામાં આવ્યો હતો.

બ્લોક દરમિયાન આધુનિક મશીનરી અને નિષ્ણાત ટેક્નિકલ ટીમની મદદથી 12 મીટર લાંબા 'V' કોલમનું સ્થાપન સંપૂર્ણ સુરક્ષા માપદંડોનું પાલન કરીને સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. કામગીરી દરમિયાન રેલવે ટ્રાફિકનું પણ સુવ્યવસ્થિત સંચાલન કરવામાં આવ્યું હતું.
રાજકોટ ડિવિઝનના એન્જિનિયરિંગ વિભાગ સહિત વિવિધ શાખાઓના અધિકારીઓ અને કર્મચારીઓના સંકલિત પ્રયાસોથી આ પડકારજનક કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થઈ હતી.
ફૂટ ઓવર બ્રિજનું નિર્માણ પૂર્ણ થયા બાદ મુસાફરોને પ્લેટફોર્મ વચ્ચે સુરક્ષિત, સરળ અને અવરોધરહિત અવરજવરની આધુનિક સુવિધા મળશે. સાથે જ સ્ટેશન પર ભીડનું અસરકારક સંચાલન થશે અને મુસાફરોની સલામતીમાં પણ નોંધપાત્ર વધારો થશે.
આ અંગે રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, "મુસાફરોની સુરક્ષા અને સુવિધા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સુરેન્દ્રનગર સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ નિર્માણમાં થયેલી આ પ્રગતિ આધુનિક અને સુરક્ષિત રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની રાજકોટ ડિવિઝનની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે."