આંતરરાષ્ટ્રીય ભારતીય મૂળના નાસા એસ્ટ્રોનોટ અનિલ મેનન આજે પ્રથમ અંતરિક્ષ મિશન પર રવાના, આઠ મહિના ISSમાં કરશે સંશોધન
ભારતીય મૂળના નાસાના એસ્ટ્રોનોટ અનિલ મેનન આજે પોતાના પ્રથમ અંતરિક્ષ મિશનની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તેઓ કઝાખસ્તાનથી રશિયાના સોયુઝ MS-29 સ્પેસક્રાફ્ટ દ્વારા ઉડાન ભરીને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) તરફ રવાના થશે. આ મિશન દરમિયાન તેઓ અંદાજે આઠ મહિના સુધી ISSમાં રહી વૈજ્ઞાનિક અને આરોગ્ય સંબંધિત સંશોધનોમાં ભાગ લેશે. તેમની સાથે રશિયાના બે અન્ય અંતરિક્ષ યાત્રીઓ પણ આ મિશનમાં જોડાશે.
49 વર્ષીય અનિલ મેનન એક પ્રતિષ્ઠિત ઈમર્જન્સી મેડિસિન ફિઝિશિયન, નાસાના એસ્ટ્રોનોટ અને અમેરિકન સ્પેસ ફોર્સના કર્નલ છે. તેમની વિશેષ તબીબી કુશળતા અને અવકાશ ચિકિત્સા ક્ષેત્રનો અનુભવ ધ્યાનમાં રાખીને નાસાએ આ મહત્વપૂર્ણ મિશન માટે તેમની પસંદગી કરી છે. ISSમાં તેઓ માનવ શરીર પર અંતરિક્ષના લાંબા ગાળાના પ્રભાવ, આરોગ્ય સંબંધી પ્રયોગો અને ભવિષ્યના ઊંડા અવકાશ મિશનો માટે ઉપયોગી બને તેવા સંશોધનો કરશે.
અનિલ મેનનનો જન્મ અમેરિકામાં ભારતીય પિતા અને યુક્રેની માતાના પરિવારમાં થયો હતો. તેમણે તબીબી ક્ષેત્રની સાથે લશ્કરી અને માનવતાવાદી સેવાઓમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. નાસામાં જોડાતા પહેલાં તેઓ અમેરિકન એરફોર્સમાં કાર્યરત હતા અને અફઘાનિસ્તાનમાં ફ્રન્ટલાઈન પર ઈમર્જન્સી મેડિકલ સેવાઓ આપી હતી. તેમની બહુમુખી કારકિર્દીએ તેમને અવકાશ મિશન માટે એક મજબૂત ઉમેદવાર બનાવ્યા છે.
તેમણે હિમાલયન રેસ્ક્યુ એસોસિએશન સાથે મળીને એવરેસ્ટ વિસ્તારમાં પર્વતારોહકોને તબીબી સારવાર પણ પૂરી પાડી હતી. ઉપરાંત ભારત સાથેનો તેમનો સંબંધ પણ ખાસ રહ્યો છે. તેઓ એક વર્ષ સુધી રોટરી એમ્બેસેડર સ્કોલર તરીકે ભારતમાં રહ્યા હતા અને દેશની પોલિયો રસીકરણ ઝુંબેશમાં પણ સક્રિય યોગદાન આપ્યું હતું.
અનિલ મેનનના પરિવારને પણ અંતરિક્ષ ક્ષેત્રનો વિશેષ અનુભવ છે. તેમની પત્ની આન્ના વિલ્હેમ વર્ષ 2024માં સ્પેસએક્સના પોલારિસ ડોન મિશન હેઠળ પાંચ દિવસ સુધી અંતરિક્ષમાં રહી ચૂક્યા છે. હવે અનિલ મેનન પોતાના પ્રથમ અવકાશ મિશન સાથે ભારતીય મૂળના વૈજ્ઞાનિકો અને અંતરિક્ષ યાત્રીઓની સિદ્ધિઓમાં વધુ એક મહત્વપૂર્ણ પ્રકરણ ઉમેરવા જઈ રહ્યા છે. તેમની આ યાત્રા અવકાશ સંશોધન અને માનવ આરોગ્ય સંબંધિત ભવિષ્યના અભ્યાસ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.