મારું શહેર કેશોદ રેલ્વે સ્ટેશન મુદ્દે હિતરક્ષક સમિતિનો અલ્ટીમેટમ, 17 ઓગસ્ટથી ભૂખ હડતાલ અને 22 ઓગસ્ટથી 'રેલ રોકો'ની ચીમકી
કેશોદ રેલ્વે સ્ટેશનને લગતી વર્ષોથી ચાલતી સમસ્યાઓનો ઉકેલ ન આવતા હવે સ્થાનિક હિતરક્ષક સમિતિએ આંદોલનનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે. સમિતિએ વેસ્ટર્ન રેલ્વેને સ્પષ્ટ અલ્ટીમેટમ આપતાં જણાવ્યું છે કે જો મુસાફરોની લાંબા સમયથી પડતર માંગણીઓનો તાત્કાલિક નિકાલ કરવામાં નહીં આવે તો 17 ઓગસ્ટથી અચોક્કસ મુદતની ભૂખ હડતાલ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ પણ યોગ્ય નિર્ણય નહીં લેવાય તો 22 ઓગસ્ટથી 'રેલ રોકો' આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
હિતરક્ષક સમિતિનું કહેવું છે કે કેશોદ જેવા મહત્વના શહેરના રેલ્વે સ્ટેશન પર હજુ પણ અનેક લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપેજ મળતું નથી. જેના કારણે હજારો મુસાફરોને રાજકોટ, જૂનાગઢ અથવા અન્ય સ્ટેશનો સુધી જવું પડે છે. સ્થાનિક વેપારીઓ, વિદ્યાર્થીઓ, નોકરીયાતો તેમજ દર્દીઓને રોજિંદા અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી કેશોદમાં વધુ ટ્રેનોના નિયમિત સ્ટોપેજની માંગ ફરી એકવાર જોરશોરથી ઉઠાવવામાં આવી છે.
સમિતિએ રેલ્વે તંત્ર સમક્ષ બુકિંગ વિન્ડોની સુવિધા પુનઃ શરૂ કરવી, પૂરતી ટિકિટ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવી તેમજ મુસાફરો માટે પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરવાની પણ માંગ કરી છે. સ્ટેશન પર સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા, બેઠકો, પ્રકાશ વ્યવસ્થા અને મુસાફરોને જરૂરી અન્ય સુવિધાઓમાં સુધારો કરવાની જરૂરિયાત પણ રજૂ કરવામાં આવી છે.
હિતરક્ષક સમિતિના આગેવાનોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં રેલ્વે તંત્ર તરફથી કોઈ અસરકારક નિર્ણય લેવામાં આવ્યો નથી. તેથી હવે લોકશાહી પદ્ધતિથી આંદોલન દ્વારા પોતાની માંગ સરકાર અને રેલ્વે અધિકારીઓ સુધી પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિએ સ્થાનિક નાગરિકો, વેપારી સંગઠનો અને વિવિધ સામાજિક સંસ્થાઓને પણ આ લડતમાં જોડાવા અપીલ કરી છે.
સમિતિએ વેસ્ટર્ન રેલ્વેને અંતિમ તક આપતાં જણાવ્યું છે કે મુસાફરોના હિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક નિર્ણય લેવામાં આવે, જેથી ભૂખ હડતાલ અને 'રેલ રોકો' જેવા કાર્યક્રમોની જરૂર ન પડે. જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો જાહેર કરાયેલા કાર્યક્રમો મુજબ આંદોલન શરૂ કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી રેલ્વે તંત્રની રહેશે.