મારું શહેર જામનગરમાં લાખોટા તળાવ વિસ્તારની ભૂગર્ભ ગટરની સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર હરકતમાં, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્થળ પર રહી કામગીરીનું નિરીક્ષણ કર્યું.
જામનગર: શહેરના અપના બજાર નજીક લાખોટા તળાવના ઉતરતા ઢાળીયાથી લઈને ટાઉનહોલ સર્કલ સ્થિત રાધે કૃષ્ણ મંદિર સુધીના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાવાની સમસ્યાને ગંભીરતાથી લઈ જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્થળ પર પહોંચીને અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.
મળતી માહિતી મુજબ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતત એક કલાકથી વધુ સમય સુધી સ્થળ પર હાજર રહી JMCની ભૂગર્ભ શાખા તેમજ વોટર વર્ક્સ (વોટરપાર્ક) શાખાના અધિકારીઓને સ્થળ પર બોલાવી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાવી હતી.

અધિકારીઓ દ્વારા ગટર લાઇનની તપાસ, અવરોધ દૂર કરવાની કામગીરી તેમજ ગંદા પાણીના નિકાલ માટે જરૂરી તકનીકી વ્યવસ્થાની સ્થળ પર જ સમીક્ષા કરવામાં આવી હતી. સમસ્યાના મૂળ કારણો શોધી કાયમી નિરાકરણ લાવવા માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે શહેરના મુખ્ય માર્ગ પર ગંદા પાણી ઉભરાવાની સમસ્યાથી નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે મહાનગરપાલિકાની પ્રાથમિકતા છે. તેથી સમસ્યાનું માત્ર તાત્કાલિક નહીં પરંતુ કાયમી સમાધાન લાવવા માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ પણ તંત્ર દ્વારા સ્થળ પર જ કામગીરી હાથ ધરાતા સંતોષ વ્યક્ત કર્યો હતો અને વર્ષોથી ચાલતી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી હતી. મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ કામગીરી પર સતત નજર રાખી જરૂરી પગલાં લેવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.