મારું શહેર ભાણવડના ઘુમલી ગામે 100થી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિનામૂલ્યે વિતરણ, દુબઈ સ્થિત મહિલા દાતાની સેવાભાવનાને બિરદાવાઈ.
ભાણવડ: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક બરડા ડુંગરની ગોદમાં આવેલા ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા ઘુમલી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નાનાં ભૂલકાઓ માટે પ્રેરણાદાયી સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. દુબઈ સ્થિત મહિલા દાતા હેતલબેન દિલપ્રસાદભાઈ જોષીના સંપૂર્ણ આર્થિક સહયોગથી શાળાના 100થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
કાર્યક્રમનું આયોજન ઘુમલી ગામના પ્રસિદ્ધ અને ભાવિકોની આસ્થાનું કેન્દ્ર ગણાતા વિધ્ય વાસિની માતાજીના મંદિરના પવિત્ર સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો અને મહેમાનોએ શિક્ષણના મહત્ત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે આવા સેવાકીય પ્રયાસો અત્યંત પ્રેરણાદાયી સાબિત થાય છે.

આ પ્રસંગે વિદ્યાર્થીઓને નોટબુક, પેન્સિલ, બોલપેન, એક્ઝામ પેડ, કમ્પાસ બોક્સ, લંચ બોક્સ, સ્કૂલ બેગ, વોટર બેગ તેમજ એક જોડી નવા કપડાં સહિતની સંપૂર્ણ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાનાં બાળકોને ઉપયોગી શૈક્ષણિક સામગ્રી મળતાં તેમના ચહેરા પર ખુશીની લાગણી સ્પષ્ટ જોવા મળી હતી. વાલીઓએ પણ દાતા પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીને આ સેવાકીય કાર્યને શિક્ષણ પ્રત્યેની ઉત્તમ પહેલ ગણાવી હતી.
દાતા પરિવાર તરફથી હેતલબેન દિલપ્રસાદભાઈ જોષી, દિલપ્રસાદભાઈ જોષી અને બનાબેન જોષી સહિતના પરિવારજનોની સેવાભાવનાને ઘુમલી પ્રાથમિક શાળા અને વિધ્ય વાસિની માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે વિદેશમાં રહીને પણ પોતાના વતન અને ગામના બાળકોના શિક્ષણ માટે સતત યોગદાન આપવું એ સમાજ માટે ગૌરવની બાબત છે.

કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય કાજલબેન, શિક્ષિકા પ્રિયાબેન ગઢીયા, વિધ્ય વાસિની મંદિર ટ્રસ્ટના પ્રમુખ હસમુખભાઈ ગઢીયા, ઉપપ્રમુખ કાનજીભાઈ જેઠવા, શોભનાબેન ગઢીયા સહિત ટ્રસ્ટના સભ્યો, ગામના આગેવાનો, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે સમાજના સક્ષમ લોકો દ્વારા કરવામાં આવતું આવું યોગદાન અનેક પરિવારો માટે આશીર્વાદ સમાન છે. આ પ્રકારની પહેલ માત્ર વિદ્યાર્થીઓને જરૂરી સામગ્રી પૂરી પાડતી નથી, પરંતુ શિક્ષણ પ્રત્યે તેમનો આત્મવિશ્વાસ અને ઉત્સાહ પણ વધારવાનું કાર્ય કરે છે. સમાજમાં સેવા, સંસ્કાર અને શિક્ષણનું અનોખું સંકલન સર્જતા આવા કાર્યક્રમો અન્ય દાતાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહ્યા છે.
રિપોર્ટર મયુર મોદી