હવામાન જામનગર જિલ્લામાં 15 ઓગસ્ટ સુધી દરિયામાં પ્રવેશ પર પ્રતિબંધ, જાહેરનામું અમલમાં.
જામનગર, તા. 30 જુલાઈ: ચોમાસા દરમિયાન દરિયો તોફાની બનવાની શક્યતા અને માછીમારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જામનગર દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ જામનગર જિલ્લાના સમગ્ર દરિયાકાંઠા તથા ક્રીક વિસ્તારમાં 15 ઓગસ્ટ સુધી માછીમારી કે અન્ય કોઈપણ હેતુસર દરિયામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જામનગર જિલ્લાના વિવિધ બંદરો પરથી મોટી સંખ્યામાં માછીમારો દરિયામાં માછીમારી માટે જાય છે. સમુદ્રમાં પહોંચ્યા બાદ વાવાઝોડું, ભારે વરસાદ અથવા હવામાનમાં અચાનક થતા ફેરફારો અંગે સમયસર ચેતવણી પહોંચાડવી મુશ્કેલ બનતી હોવાથી જાનહાનિનું જોખમ ઊભું થાય છે. દર વર્ષે જૂન મહિનાથી દરિયો તોફાની બનતો હોવાથી મત્સ્યોદ્યોગ વિભાગ અને પોર્ટ અધિકારીઓ દ્વારા પણ આ સમયગાળા દરમિયાન માછીમારી માટે પરવાનગી આપવામાં આવતી નથી.
તેમ છતાં કેટલાક માછીમારો અનધિકૃત રીતે દરિયામાં જતા હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સુરક્ષાના હિતમાં આ પ્રતિબંધાત્મક આદેશ જારી કરવામાં આવ્યો છે.
જાહેરનામા મુજબ
- 15 ઓગસ્ટ સુધી જામનગર જિલ્લાના દરિયાકાંઠા અને ક્રીક વિસ્તારમાં કોઈપણ માછીમાર અથવા અન્ય વ્યક્તિ દરિયામાં પ્રવેશ કરી શકશે નહીં.
- માછીમારી તેમજ અન્ય કોઈપણ હેતુસર બોટોની અવરજવર પર પ્રતિબંધ રહેશે.
આ પ્રતિબંધમાંથી મુક્તિ
નીચેના કિસ્સાઓમાં જાહેરનામું લાગુ પડશે નહીં:
- પોર્ટ પર આવતા વ્યાપારી જહાજો
- લશ્કરી અને અર્ધલશ્કરી દળો
- પોલીસ દળોની બોટો
- ગુજરાત મેરિટાઇમ બોર્ડની બોટો
- સક્ષમ અધિકારીની મંજૂરી ધરાવતી પેસેન્જર બોટો
- નોન-મોટરાઇઝ્ડ ક્રાફ્ટ (લાકડાની બિન-યાંત્રિક હોડી અને શઢવાળી હોડી)
- પગડિયા માછીમારો
નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી
જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લા વહીવટીતંત્રે તમામ માછીમારો અને નાગરિકોને પોતાની તથા અન્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જાહેરનામાનું ચુસ્ત પાલન કરવાની અપીલ કરી છે.