મારું શહેર દ્વારકામાં જમીન કૌભાંડની ગંધ? નવી શરતની જમીન, ડૂબમાં ગયેલી જમીન અને વેચાણ નોંધને લઈને ગંભીર સવાલો.
દ્વારકા શહેરમાં જમીન સંબંધિત એક ગંભીર મામલો સામે આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. નવા સર્વે નંબર 613 (જૂનો સર્વે નંબર 618/2) ધરાવતી જમીન અંગે નોંધ નંબર 5639 મારફતે મામલતદાર દ્વારા ગણોત ધારા હેઠળ તબદીલી દંડ વસૂલવાની મંજૂરી આપવામાં આવી હતી. ઉપલબ્ધ વિગતો મુજબ આ જમીન ગણોતિયાને મળેલી નવી શરતની જમીન હોવાનું જણાવાય છે.
સામાન્ય રીતે નવી શરતની જમીનના હસ્તાંતરણ માટે સરકારના નિયમો અને મંજૂરી જરૂરી હોય છે. છતાં આ જ જમીન સંબંધિત વેચાણની નોંધ નંબર 5639 મંજૂર કરવામાં આવી હોવાનું સામે આવતાં અનેક સવાલો ઊભા થયા છે. આ મંજૂરી કયા આધારે આપવામાં આવી? શું તમામ કાનૂની જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું હતું? તે અંગે ચર્ચા શરૂ થઈ છે.
આ ઉપરાંત દ્વારકાના સર્વે નંબર 623 અને 624 અંગે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ જમીનો માયાસર તળાવની ડૂબમાં ગયેલી હોવાનું જણાવાતું હોવા છતાં વેચાણની નોંધ નંબર 5639 મંજૂર કરવામાં આવી હોવાનું કહેવાય છે. આ સમગ્ર પ્રક્રિયામાં એક જવાબદાર અધિકારીએ નિયમોની અવગણના કરીને આંખ આડા કાન કર્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા છે કે ભવિષ્યમાં આ સર્વે નંબરોને અન્ય સ્થળે સમાયોજિત કરીને ભૂમાફિયાઓને કરોડો રૂપિયાનો ફાયદો પહોંચાડવાનો પ્રયાસ થઈ શકે છે. જો આ આક્ષેપોમાં સત્ય હશે તો તે સરકારી જમીન વ્યવસ્થાપન અને આવક વિભાગ માટે ગંભીર પ્રશ્નો ઉભા કરશે.
મળતી માહિતી મુજબ સમગ્ર પ્રકરણમાં એક યુવા વકીલ દ્વારા અંદાજે પાંચ લાખ રૂપિયાના વહીવટથી ભૂમાફિયાઓને મદદ કરવામાં આવી હોવાના પણ આક્ષેપો ચર્ચામાં છે. જોકે આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.
જો આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો જમીનના દસ્તાવેજો, વેચાણ નોંધ, અધિકારીઓની ભૂમિકા અને સંભવિત ગેરરીતિઓ અંગેનું સંપૂર્ણ કાવતરું બહાર આવી શકે તેવી ચર્ચા ચાલી રહી છે.