મારું શહેર રાધનપુરમાં આરોગ્ય વિભાગના કર્મચારી મિર્ઝા સરદાર બેગામ અશરફનો ભાવભીનો નિવૃત્તિ સમારોહ યોજાયો, 29 વર્ષની સેવાકીય કારકિર્દીને અપાયું સન્માન.
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આરોગ્ય વિભાગમાં લગભગ 29 વર્ષ સુધી નિષ્ઠા, સમર્પણ અને સેવાભાવ સાથે ફરજ બજાવનાર મિર્ઝા સરદાર બેગામ અશરફના વયનિવૃત્તિ નિમિત્તે ભાવભીનો વિદાય સમારોહ યોજાયો હતો. રાધનપુરની વન ટેન હોટેલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, ડૉક્ટરો, કર્મચારીઓ, આશા વર્કર બહેનો તેમજ વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના સ્ટાફે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમની લાંબી અને યાદગાર સેવાકીય કારકિર્દીને બિરદાવી હતી. કાર્યક્રમ બાદ ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ નિવૃત્ત કર્મચારીને શુભેચ્છાઓ પાઠવી તેમના સુખમય અને સ્વસ્થ જીવનની કામના કરી હતી.
મિર્ઝા સરદાર બેગામ અશરફે પોતાની સરકારી સેવાની શરૂઆત 29 ઓક્ટોબર, 1997ના રોજ બનાસકાંઠા જિલ્લામાં કરી હતી. શરૂઆતના બે વર્ષ દરમિયાન તેમણે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ આરોગ્ય સેવાઓમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ત્યારબાદ 22 જૂન, 1999થી તેમની બદલી પાટણ જિલ્લામાં થતાં તેમણે અહીં સતત સેવા આપી હતી. રાફુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), સાંથલી PHC તેમજ રાધનપુર વિસ્તારના વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં તેમણે ફરજ બજાવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવામાં તેમનો નોંધપાત્ર ફાળો રહ્યો હોવાનું સહકર્મચારીઓએ જણાવ્યું હતું.

તા. 30 જૂન, 2026ના રોજ વયમર્યાદા પૂર્ણ થતાં તેઓ સરકારી સેવામાંથી સત્તાવાર રીતે નિવૃત્ત થયા હતા. તેમની લગભગ ત્રણ દાયકાની સેવાકીય યાત્રા દરમિયાન તેમણે દર્દીઓ પ્રત્યે સંવેદનશીલ અભિગમ, સમયપાલન, ફરજ પ્રત્યેની નિષ્ઠા અને સહકર્મચારીઓ સાથેના સૌહાર્દપૂર્ણ સંબંધોથી સૌના દિલમાં વિશેષ સ્થાન બનાવ્યું હતું. આરોગ્ય સેવાઓ દરમિયાન અનેક આરોગ્યલક્ષી કાર્યક્રમોમાં તેમની સક્રિય ભૂમિકા રહી હતી અને આશા વર્કર બહેનો સહિતના મેદાની કર્મચારીઓ સાથે સુમેળભર્યો સંકલન જાળવી તેઓએ આરોગ્ય વિભાગની કામગીરીને વધુ મજબૂત બનાવી હતી.
વિદાય સમારંભમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. કેતનભાઈ ઠક્કર, ડૉ. બ્રિજેશ પ્રજાપતિ, ડૉ. મીત ચૌધરી, ડૉ. જિગ્નેશ ચૌધરી, કે.કે. સોલંકી, જિલ્લા ફાર્માસિસ્ટ ગિરીશભાઈ કાપડી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના સ્ટાફ અને મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના સંબોધનમાં મિર્ઝા સરદાર બેગામ અશરફની સેવાભાવી કાર્યશૈલી અને આરોગ્ય ક્ષેત્રમાં તેમના યોગદાનને યાદ કરી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે સરકારી સેવા દરમિયાન તેમણે હંમેશા દર્દીઓના હિતને પ્રાથમિકતા આપી હતી અને પોતાની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. તેમની સરળતા, વિનમ્રતા, સહકારની ભાવના અને કાર્ય પ્રત્યેનું સમર્પણ નવા કર્મચારીઓ માટે પ્રેરણારૂપ રહેશે. આરોગ્ય વિભાગમાં તેમના યોગદાનને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે તેવી લાગણી પણ ઉપસ્થિતોએ વ્યક્ત કરી હતી.

સમારંભ દરમિયાન મિર્ઝા સરદાર બેગામ અશરફને શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમજ સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાંથલી PHCના આરોગ્ય કર્મચારીઓ, એમ.પી.એચ.ડબલ્યુ., આશા વર્કર બહેનો અને અન્ય સ્ટાફ દ્વારા પણ તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ભાવુક વાતાવરણ વચ્ચે સૌએ તેમના ઉજ્જવળ સ્વાસ્થ્ય, સુખ-સમૃદ્ધિ અને નિવૃત્તિ જીવન આનંદમય રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. કાર્યક્રમ અંતે સૌએ સાથે ભોજન લઈ વર્ષો સુધી સાથે કરેલી સેવાની યાદોને તાજી કરી હતી.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર