મારું શહેર હરતા-ફરતા પશુ દવાખાનાની સેવાને 6 વર્ષ પૂર્ણ: જામનગરમાં 3.78 લાખથી વધુ પશુઓને મળી નિઃશુલ્ક સારવાર.
જામનગર: પશુપાલકોને ઘરઆંગણે પશુચિકિત્સા સેવા ઉપલબ્ધ કરાવતી રાજ્ય સરકારની હરતા-ફરતા પશુ દવાખાના (1962) યોજનાએ સફળતાપૂર્વક 6 વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસરે જામનગરની 1962 ટીમ દ્વારા કેક કાપીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિવિધલક્ષી પશુ ચિકિત્સાલયના અધિકારીઓ, પશુ ચિકિત્સકો અને પાયલોટ સ્ટાફે હાજરી આપી સેવાની સફળ સફરની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે વિવિધલક્ષી પશુ ચિકિત્સાલય, જામનગરના મદદનીશ પશુપાલન નિયામક ડૉ. જીવાણી, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર પિયુષ પરમાર તેમજ હરતા-ફરતા પશુ દવાખાનાના તમામ પશુ ચિકિત્સકો અને પાયલોટ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે છેલ્લા છ વર્ષ દરમિયાન સેવાના માધ્યમથી હજારો પશુપાલકો સુધી પહોંચેલી આરોગ્ય સેવાઓ અને પશુ કલ્યાણ માટે થયેલા કાર્યની સમીક્ષા કરી હતી.
પશુપાલકોને તેમના ઘરઆંગણે જ તાત્કાલિક અને નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવવાના મુખ્ય હેતુ સાથે શરૂ કરવામાં આવેલી આ સેવા આજે પશુ આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ અસરકારક સાબિત થઈ રહી છે. ખાસ કરીને દૂરના ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓને સમયસર સારવાર મળતાં પશુઓના મૃત્યુદર ઘટાડવામાં અને પશુપાલકોને આર્થિક નુકસાનમાંથી બચાવવામાં આ યોજનાએ મહત્વની ભૂમિકા ભજવી છે.

જામનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન હરતા-ફરતા પશુ દવાખાના દ્વારા કુલ 51,993 પશુ-પક્ષીઓની સફળ સારવાર કરવામાં આવી છે. તેમાં 23,922 ગાયો, 19,211 ભેંસો, 3,941 બકરીઓ, 3,816 ઘેટાં અને 941 કુતરાઓ ઉપરાંત ઘોડા, કબૂતર સહિત અન્ય અનેક પશુ-પક્ષીઓનો સમાવેશ થાય છે. આ કામગીરી દ્વારા અનેક અબોલ જીવોને સમયસર સારવાર મળી તેમના જીવ બચાવવામાં ટીમે નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જામનગર જિલ્લામાં કુલ 21 હરતા-ફરતા પશુ દવાખાનાની મોબાઇલ યુનિટો કાર્યરત છે. આ યુનિટો જિલ્લાના વિવિધ ગામોમાં જઈને પશુઓને સ્થળ પર જ સારવાર પૂરી પાડી રહી છે. યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં જિલ્લાના વિવિધ ગામોમાં કુલ 3,78,064 પશુઓની સફળ સારવાર કરવામાં આવી છે, જેના કારણે આ યોજના પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
આ સેવાના કારણે પશુપાલકોને પશુઓને સારવાર માટે દૂરના દવાખાનામાં લઈ જવાની જરૂર રહેતી નથી. ઇમરજન્સી સ્થિતિમાં પણ તાત્કાલિક પશુચિકિત્સા ઉપલબ્ધ થતાં પશુઓના આરોગ્યમાં નોંધપાત્ર સુધારો થયો છે. ખાસ કરીને દૂધાળાં પશુઓની સમયસર સારવારથી પશુપાલકોની આવકને પણ સુરક્ષા મળી રહી છે.
જામનગરના પ્રોગ્રામ મેનેજર ડૉ. શોએબ ખાનએ જિલ્લાના તમામ પશુપાલકોને આ નિઃશુલ્ક સેવાનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે પશુઓની સારવાર માટે પશુપાલકો સોમવારથી શનિવાર સવારે 8:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી '1962' હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી મોબાઇલ પશુ દવાખાનાની સેવા મેળવી શકે છે. તેમણે પશુપાલકોને સમયસર સારવાર અપાવી પશુઓનું આરોગ્ય જાળવવા આ સેવાનો નિયમિત ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે.