એજ્યુકેશન જામનગરની શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પાંચ શાળાઓનો સંયુક્ત 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ' યોજાયો.
જામનગર શહેરની નવ દાયકા જૂની પ્રતિષ્ઠિત શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું . જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પાંચ શાળાઓના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-1, ધોરણ-9 અને ધોરણ-11માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓનું હર્ષોલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું . કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે કંકુ તિલક કરીને દીકરીઓને શાળા પરિવારમાં આવકારવામાં આવી તેમજ તેમને શૈક્ષણિક કીટનું વિતરણ કરીને નવા શૈક્ષણિક વર્ષની શુભ શરૂઆત કરાવવામાં આવી . સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, આનંદ અને શૈક્ષણિક વાતાવરણ વચ્ચે સંપન્ન થયો .
આ સંયુક્ત પ્રવેશોત્સવમાં જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં. 6, શાળા નં. 38, શાળા નં. 5 અને શાળા નં. 41ની આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ-1માં પ્રવેશ મેળવનારી નાની બાળાઓ ઉપરાંત શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ-9 અને ધોરણ-11માં પ્રવેશ મેળવનારી તેજસ્વી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો . તમામ વિદ્યાર્થીનીઓનું પરંપરાગત રીતે કંકુ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન શાળા પરિવાર દ્વારા દીકરીઓના શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધે અને તેઓ આનંદ સાથે પોતાના શૈક્ષણિક જીવનની શરૂઆત કરે તેવો માહોલ સર્જવામાં આવ્યો .

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત જામનગર મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસે વિદ્યાર્થીનીઓને પ્રેરણાત્મક સંબોધન આપ્યું . તેમણે દીકરીઓને માત્ર પાઠ્યપુસ્તક આધારિત શિક્ષણ પૂરતું મર્યાદિત ન રહેતા પોતાના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રેરણા આપી . જીવનમાં આત્મવિશ્વાસ, સંસ્કાર અને સતત મહેનત દ્વારા ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાની અપીલ પણ તેમણે કરી . સાથે જ શિક્ષણને જીવનનો સૌથી મોટો આધાર ગણાવી દરેક વિદ્યાર્થીનીએ પોતાના સપનાઓને સાકાર કરવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ તેવો સંદેશ પણ આપ્યો .
આ પ્રસંગે મેયર મોનીકાબેન વ્યાસે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતાં શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું . તેમણે શાળાના સુંદર આયોજન, સુશોભન અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય, શિક્ષકગણ તથા વિદ્યાર્થીનીઓએ કરેલી મહેનતને બિરદાવી . તેમણે જણાવ્યું હતું કે શિક્ષણની સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું ભાન પણ વિદ્યાર્થીઓમાં કેળવવું જરૂરી છે અને આવા કાર્યક્રમો બાળકોમાં સામાજિક જવાબદારીની ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય .
કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, મદદનીશ શિક્ષણ નિરીક્ષક અમિતભાઈ તન્ના, કોર્પોરેટર આશાબેન રાઠોડ, મંજુબેન બાંભણિયા, સંજયભાઈ દાઉદીયા, નીલેશભાઈ હાડા, દિનેશભાઈ ચૌહાણ, ભદ્રેશભાઈ ચૌહાણ, દર્શનભાઈ શેઠ તેમજ પ્રમુખ બ્રિજેશભાઈ વોરા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ દીકરીઓને નવા શૈક્ષણિક જીવન માટે શુભેચ્છાઓ પાઠવી અને શિક્ષણના મહત્વ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા .

પ્રવેશોત્સવ દરમિયાન તમામ નવોદિત વિદ્યાર્થીનીઓને મહાનુભાવોના હસ્તે સ્કૂલબેગ, પાઠ્યપુસ્તકો અને યુનિફોર્મ સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું . નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જરૂરી શૈક્ષણિક સામગ્રી મળતાં વિદ્યાર્થીનીઓમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો . કાર્યક્રમ દરમિયાન દીકરીઓના શિક્ષણને વધુ પ્રોત્સાહન મળે અને તેઓ નિયમિત અભ્યાસ સાથે પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સવમય વાતાવરણ જોવા મળ્યું .
આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને સફળ અને યાદગાર બનાવવા માટે શાળા નં. 6ના આચાર્ય પ્રશાંતભાઈ માધવાચાર્ય, શાળા નં. 38ના આચાર્ય ધ્રુતીબેન વડાલીયા તથા સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્યા બીનાબેન દવે સહિત તમામ શાળાઓના શિક્ષકગણ અને સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. તેમના સંયુક્ત પ્રયાસોથી પાંચ શાળાઓના આ સંયુક્ત પ્રવેશોત્સવનું સફળ આયોજન થયું , જેમાં નવોદિત વિદ્યાર્થીનીઓને શિક્ષણના નવા પ્રવાસ માટે હર્ષભેર આવકાર આપવામાં આવ્યો .