મારું શહેર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે ગેરવર્તણૂકનો મામલો ગંભીર: સરકારની કાર્યવાહી.
આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ પીડિત મહિલા તબીબ સાથે ફોન પર વાત કરી ન્યાય અને સુરક્ષાની ખાતરી આપી
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે થયેલી કથિત ગેરવર્તણૂકની ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ મહિલા કર્મચારીઓ અને તબીબોની સુરક્ષા તથા સન્માન જળવાઈ રહે તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
ઘટનાની જાણ થતાં જ આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ પીડિત મહિલા તબીબ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. મંત્રીએ તેમની હિંમત વધારવા સાથે ન્યાય અને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી હતી. સરકારી હોસ્પિટલોમાં કાર્યરત મહિલા તબીબો અને કર્મચારીઓની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં નહીં આવે તેમ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
ડો. અશ્વિન રામાણીની બદલી
આરોગ્યમંત્રીના આદેશ બાદ રાજકોટની આર.ઝેડ. હોસ્પિટલ સાથે સંકળાયેલા ડો. અશ્વિન રામાણીની પંચમહાલ જિલ્લાના વાવકુંડલી સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે બદલી કરવામાં આવી છે.
આ કાર્યવાહી સાથે આરોગ્ય વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી આરોગ્ય સંસ્થાઓમાં કાર્યસ્થળે ગેરવર્તણૂક અથવા અયોગ્ય વર્તનને ગંભીરતાથી લેવામાં આવશે અને નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
મહિલા તબીબોની સુરક્ષા સરકારની પ્રાથમિકતા
આરોગ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યની આરોગ્ય સેવાઓમાં ફરજ બજાવતી દરેક મહિલા કર્મચારી અને તબીબને સુરક્ષિત તથા સન્માનજનક કાર્યસ્થળ મળે તે સરકારની મહત્વપૂર્ણ જવાબદારી છે. મહિલા તબીબો સમાજને આરોગ્યસેવા પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, ત્યારે તેમની સાથે સન્માનપૂર્ણ વ્યવહાર થાય તે જરૂરી છે.
આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સુરક્ષિત, સન્માનજનક અને હકારાત્મક કાર્યકારી વાતાવરણ જાળવવા જરૂરી દિશાનિર્દેશો આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
સરકારનો સ્પષ્ટ અભિગમ છે કે મહિલા કર્મચારીઓ અને તબીબોના ગૌરવ તથા સન્માન સાથે કોઈ સમાધાન કરવામાં નહીં આવે. ગેરવર્તણૂકના કિસ્સામાં નિયમો અને કાયદા મુજબ જવાબદાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.