ક્રાઇમ જામનગર પોલીસને મોટી સફળતા: પ્રોહિબિશનના બે ગુનામાં ફરાર આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયો.
જામનગર શહેરમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત જામનગર સીટી "એ" ડિવિઝન પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. બે અલગ-અલગ પ્રોહિબિશનના ગુનાઓમાં વોન્ટેડ રહેલા આરોપીને ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી ઝડપી પાડી જામનગર લાવવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા શહેર અને જિલ્લામાં નોંધાયેલા ગુનાઓના નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાનમાં જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની (IPS) તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જયવીરસિંહ એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જામનગર સીટી "એ" ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ધનશ્યામસિંહ ડોડીયા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ જગદીશભાઈ સોનગરા દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે જામનગર સીટી "એ" ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં નોંધાયેલા પ્રોહિબિશનના ગુના તેમજ જામનગર સીટી "બી" ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021માં નોંધાયેલા પ્રોહિબિશનના અન્ય એક ગુનામાં વોન્ટેડ આરોપી સુભાષચંદ્ર રામઅવતાર સુનેરિયા છેલ્લા લાંબા સમયથી ફરાર હતો.
પોલીસને મળેલી ચોક્કસ માહિતી મુજબ આરોપી હાલ ઉત્તર પ્રદેશ રાજ્યના ઇટાવા જિલ્લાના બુધેલા ગામમાં હાજર હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે જામનગર પોલીસ અધિક્ષકની મંજૂરી મેળવી પોલીસની ટીમ ઉત્તર પ્રદેશ રવાના થઈ હતી.
ત્યાં પહોંચીને પોલીસે સ્થાનિક માહિતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા સુભાષચંદ્ર રામઅવતાર સુનેરિયા ઉર્ફે યાદવ (ઉંમર અંદાજે 45 વર્ષ), ધંધે દૂધનો વ્યવસાય કરનાર અને મૂળ બુધેલા ગામ, તા. અને જી. ઇટાવા, ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે આરોપીને તેના વતનમાંથી ઝડપી પાડી કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જામનગર લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ જામનગર સીટી "એ" ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પો. હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ જગદીશભાઈ સોનગરા દ્વારા આરોપીની ધોરણસર અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આરોપી સામે જામનગરના બે અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળના ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા અને તે લાંબા સમયથી પોલીસની પકડથી દૂર રહ્યો હતો. જોકે જામનગર પોલીસની સતત મહેનત, ટેકનિકલ તપાસ અને ચોક્કસ બાતમીના આધારે આખરે તે કાયદાની જાળમાં આવી ગયો છે.
આ સમગ્ર સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. ગઢવીના માર્ગદર્શન હેઠળ એએસઆઈ નરેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલા, મહીપાલસિંહ મયુરસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ અરજણભાઈ ડેર, વિપુલભાઈ જગદીશભાઈ સોનગરા, મહેશભાઈ ધુડાભાઈ મોરી, હરપાલસિંહ ભરતસિંહ પરમાર તેમજ પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ધનશ્યામસિંહ ડોડીયાએ સંયુક્ત રીતે પાર પાડી હતી.
જામનગર પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓ સામે ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશના પરિણામે એક પછી એક વોન્ટેડ આરોપીઓ ઝડપાઈ રહ્યા છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનતી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.