ક્રાઇમ જામનગરમાં ₹23 કરોડથી વધુની GST કરચોરીનો પર્દાફાશ: ભંગારના વેપારી પિતા-પુત્રની ધરપકડ
જામનગરના ઔદ્યોગિક હબ ગણાતા દરેડ જીઆઈડીસી વિસ્તારમાં સ્ટેટ જીએસટી (SGST) વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી કરોડો રૂપિયાના બોગસ બિલિંગ અને કરચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 50 કલાકથી વધુ સમય સુધી ચાલેલી મેરેથોન તપાસ બાદ જીએસટી વિભાગે ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા પિતા-પુત્રની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં અંદાજે ₹23.08 કરોડની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સ્ટેટ જીએસટી વિભાગે 'માંડોવરા ટ્રેડિંગ કંપની' (GSTIN: 24AFUPS2125K1Z2) સામે ગંભીર અનિયમિતતાઓ અને બોગસ બિલિંગની શંકાને આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન કંપનીના સંચાલકો સુરેશચંદ્ર મૂળચંદ્ર શાહ અને તેમના પુત્ર આયુષ સુરેશચંદ્ર શાહની ભૂમિકા સામે આવતા બંનેની ધરપકડ કરવામાં આવી છે.
જીએસટી વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, બ્રાસના દેશી ભંગારના વેપારના નામે મોટા પાયે બોગસ બિલો ઉભા કરીને ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવતી હોવાની ચોક્કસ માહિતી મળી હતી. ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિશેષ ઓપરેશન ગોઠવવામાં આવ્યું હતું.
આ કાર્યવાહીમાં રાજકોટ અને અમદાવાદ જીએસટી વિભાગના અધિકારીઓની કુલ 22 ટીમો સામેલ થઈ હતી. આશરે 30 વાહનોના કાફલા સાથે અધિકારીઓ જામનગર પહોંચ્યા હતા અને દરેડ જીઆઈડીસી સહિત વિવિધ સ્થળોએ એકસાથે તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન કંપનીના વ્યવહારો, ખરીદી-વેચાણના દસ્તાવેજો, બેંક ટ્રાન્ઝેક્શનો, જીએસટી રિટર્ન્સ તેમજ અન્ય નાણાકીય દસ્તાવેજોની સઘન ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓએ ડિજિટલ ડેટા, કમ્પ્યુટર રેકોર્ડ્સ અને હિસાબી દસ્તાવેજો પણ કબજે કરી તેમની તપાસ કરી હતી.
પ્રાથમિક તારણોમાં સામે આવ્યું છે કે કંપની દ્વારા વાસ્તવિક માલની હેરફેર વગર જ બોગસ બિલો ઉભા કરી ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ લેવામાં આવ્યો હતો. આ રીતે સરકારને કરોડો રૂપિયાની આવકનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું જીએસટી વિભાગનું માનવું છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, અત્યાર સુધીની તપાસમાં અંદાજે ₹23.08 કરોડની ખોટી વેરાશાખ મેળવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જોકે તપાસ હજુ ચાલુ હોવાથી આ આંકડો વધવાની પણ શક્યતા નકારી શકાય તેમ નથી.
50 કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ કાર્યવાહીને જામનગરના વેપાર અને ઔદ્યોગિક ક્ષેત્રમાં છેલ્લા કેટલાક સમયની સૌથી મોટી જીએસટી તપાસ માનવામાં આવી રહી છે. સમગ્ર ઓપરેશન દરમિયાન અધિકારીઓએ સતત દસ્તાવેજોની ચકાસણી, પૂછપરછ અને ટેકનિકલ વિશ્લેષણ હાથ ધર્યું હતું.
ધરપકડ કરાયેલા સુરેશચંદ્ર મૂળચંદ્ર શાહ અને આયુષ સુરેશચંદ્ર શાહને કાયદેસરની કાર્યવાહી હેઠળ કોર્ટ સમક્ષ રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાથે જ આ કૌભાંડમાં અન્ય વ્યક્તિઓ, પેઢીઓ અથવા બોગસ ફર્મોની સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે.
જીએસટી વિભાગના અધિકારીઓનું માનવું છે કે આ કાર્યવાહીથી રાજ્યમાં બોગસ બિલિંગ અને ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટના કૌભાંડો સામે કડક સંદેશ જશે. આગામી દિવસોમાં પણ શંકાસ્પદ વ્યવહારો ધરાવતી પેઢીઓ અને કરચોરીમાં સંડોવાયેલા તત્વો સામે આવી જ કાર્યવાહી ચાલુ રહેશે.
દરેડ જીઆઈડીસી વિસ્તારમાં થયેલી આ કાર્યવાહી બાદ વેપારી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે અને જીએસટી વિભાગ દ્વારા અન્ય સંદિગ્ધ વ્યવસાયિક એકમોની પણ તપાસ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.