મારું ગુજરાત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMS પરીક્ષાનું પેપર લીક મામલો: આવેદનપત્ર આપવા વિદ્યાર્થીઓ ચાણક્ય ભવન પહોંચ્યા.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની BAMS પરીક્ષાનું પેપર લીક થયાના આક્ષેપોને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ચાણક્ય ભવન, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાશે.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે પેપર લીક જેવી ગંભીર ઘટના શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા પર સવાલ ઉભા કરે છે અને મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અન્યાય સમાન છે. તેથી સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે અને જો કોઈની બેદરકારી કે સંડોવણી સામે આવે તો તેમના વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવશે.

આવેદનપત્રમાં પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે, ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે મજબૂત સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેમજ વિદ્યાર્થીઓના હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવશે.
વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે તેઓ શાંતિપૂર્ણ અને લોકશાહી પદ્ધતિથી પોતાની માંગણીઓ રજૂ કરશે. સાથે જ યુનિવર્સિટી તંત્ર આ મામલે ગંભીરતા દાખવી તાત્કાલિક યોગ્ય નિર્ણય લે તેવી પણ અપીલ કરવામાં આવશે.