ક્રાઇમ ૩,૦૫૦ કિલો બાળભોગ કૌભાંડ.....
૩,૦૫૦ કિલો બાળભોગ કૌભાંડમાં 4 સામે FIR
અરવલ્લી જિલ્લાના મોડાસામાં સરકારી બાળભોગના જથ્થાને લઈને મોટા કૌભાંડનો પર્દાફાશ, અંદાજે 3,050 કિલો શંકાસ્પદ બાળભોગનો જથ્થો સગેવગે કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવતા સરકારી ગોડાઉન ઇન્ચાર્જ સહિત ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો, મળતી માહિતી મુજબ, આ સમગ્ર મામલે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી, સરકારી યોજનાઓ હેઠળ લાભાર્થીઓ માટે રાખવામાં આવેલા બાળભોગના જથ્થામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં સરકારી ગોડાઉનમાંથી બાળભોગનો જથ્થો નિયમો વિરુદ્ધ સગેવગે કરવામાં આવ્યો હોવાની વિગતો, આ મામલે ગોડાઉન ઇન્ચાર્જ સહિત ચાર વ્યક્તિઓની સંડોવણી સામે આવતા તેમની સામે FIR, પોલીસ અને સંબંધિત વિભાગો દ્વારા હવે સમગ્ર નેટવર્કની તપાસ તેજ કરવામાં આવી છે. સરકારી અનાજ અને બાળભોગનો જથ્થો બારોબાર પધરાવી દેવાના કોઈ સંગઠિત રેકેટની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
તપાસ દરમિયાન જથ્થો ક્યાં પહોંચાડવામાં આવ્યો, કોને તેનો લાભ મળ્યો અને ગેરરીતિમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ તે અંગે પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. સંબંધિત દસ્તાવેજો અને રેકોર્ડની પણ ચકાસણી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર ઘટનાએ સરકારી અનાજ અને પોષણ યોજનાઓના અમલીકરણ સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. હાલ મોડાસા રૂરલ પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.