ઈન્ડિયા ઓપરેશન સિંદૂરના 6 શહીદોને અમર સન્માન
ઓપરેશન સિંદૂર દરમિયાન દેશની રક્ષા માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારા ભારતીય સેનાના છ વીર જવાનોના નામ કેન્દ્ર સરકારે પહેલીવાર સત્તાવાર રીતે જાહેર કર્યા છે. આ તમામ શહીદોના નામ નવી દિલ્હીના નેશનલ વૉર મેમોરિયલમાં કાયમી રીતે અંકિત કરવામાં આવ્યા છે.
સરકારે આ છ વીર સપૂતોના નામ નેશનલ વૉર મેમોરિયલની '3D' દીવાલ પર તેમજ તેની સત્તાવાર વેબસાઇટના 'રોલ ઓફ ઓનર' વિભાગમાં પણ સામેલ કર્યા છે. આ પગલું દેશ માટે બલિદાન આપનારા જવાનોને કાયમી શ્રદ્ધાંજલિ અને સન્માનરૂપ માનવામાં આવી રહ્યું છે.
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા જવાનોમાં સૂબેદાર મેજર પવન કુમાર (નિધન 10 મે), રાઇફલમેન સુનીલ કુમાર (વીર ચક્ર) (નિધન 10 મે), લાન્સ નાયક દિનેશ કુમાર (નિધન 7 મે), એવીએશન ટેકનિશિયન મુરલી નાયક (નિધન 9 મે), હવલદાર સુનીલ કુમાર સિંડ (નિધન 6 જૂન) અને સાર્જન્ટ સુરેન્દ્ર કુમાર (વાયુસેના પદક) (નિધન 10 મે)નો સમાવેશ થાય છે.
આ તમામ જવાનોએ ઓપરેશન સિંદૂર દરમિયાન દેશની સુરક્ષા અને અખંડિતતા માટે ફરજ બજાવતા પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. તેમના અદમ્ય સાહસ અને દેશપ્રેમને યાદગાર બનાવવા માટે તેમના નામોને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની વર્ષ 2025ની 'ત્યાગ ચક્ર' દીવાલ પર આ છ વીર જવાનોના નામ હંમેશા માટે અંકિત કરવામાં આવ્યા છે. દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા આ શહીદોને આ રીતે રાષ્ટ્ર તરફથી કાયમી સન્માન અને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે.