મારું ગુજરાત જન્મથી અન્નનળી વગર જન્મેલા બાળકને મળ્યું નવું જીવન: અમદાવાદ સિવિલમાં જટિલ ‘ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી’ સફળ
અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળ સર્જરી વિભાગે તબીબી ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. જન્મથી જ અન્નનળીની ગંભીર ખામી ધરાવતા અઢી વર્ષના માસૂમ બાળક પર અત્યંત જટિલ ગણાતી ‘ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી’ સફળતાપૂર્વક કરવામાં આવી છે. આ ઓપરેશન બાદ હવે બાળક પ્રથમ વખત સામાન્ય બાળકોની જેમ મોઢેથી ખોરાક લઈ શકશે અને તેને નવું જીવન મળ્યું છે.
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં રહેતા શૈલેષભાઈ પટેલના પુત્ર મંતવ્યનો જન્મ 7 નવેમ્બર, 2023ના રોજ થયો હતો. જન્મથી જ બાળક ‘પ્યોર ઈસોફેજિયલ એટ્રેસિયા’ નામની દુર્લભ જન્મજાત ખોડખાંપણથી પીડિત હતું. આ સ્થિતિમાં બાળકની અન્નનળી સંપૂર્ણ રીતે વિકસિત થતી નથી અને તેના બંને છેડા એકબીજાથી દૂર રહે છે. જેના કારણે બાળક મોઢેથી દૂધ કે ખોરાક ગળી શકતું નથી.
બાળકના જન્મ બાદ તાત્કાલિક તબીબી સારવાર શરૂ કરવામાં આવી હતી. જીવન બચાવવા માટે પ્રથમ તબક્કામાં ઈસોફેગોસ્ટોમી અને ગેસ્ટ્રોસ્ટોમી જેવી સર્જરી કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકને ટ્યુબ દ્વારા પ્રવાહી આહાર આપવામાં આવતો હતો. નિયમિત સારવાર, પોષણ અને નિષ્ણાતોની દેખરેખ હેઠળ બાળકના સ્વાસ્થ્યમાં ધીમે ધીમે સુધારો જોવા મળ્યો અને ત્યારબાદ અન્નનળીનું પુનઃનિર્માણ કરવા માટે જટિલ સર્જરીનો નિર્ણય લેવામાં આવ્યો.
ગત 3 જુલાઈ, 2026ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકની Esophageal Reconstruction માટેની ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરીમાં બાળકના પેટના ભાગમાંથી નવી અન્નનળી તૈયાર કરીને તેને મોઢા સાથે જોડવામાં આવે છે, જેથી બાળક ફરીથી સામાન્ય રીતે ખોરાક લઈ શકે. આ અત્યંત પડકારજનક સર્જરી તબીબી અધિક્ષક અને બાળ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી, ડૉ. જયશ્રી રામજી તેમજ એનેસ્થેસિયા વિભાગની નિષ્ણાત ટીમ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
સર્જરી બાદ બાળકની સતત દેખરેખ રાખવામાં આવી હતી અને ઓપરેશનના 23મા દિવસે બાળકએ પ્રથમ વખત મોઢેથી ખોરાક લેવાનું શરૂ કર્યું હતું. આ ક્ષણ બાળકના માતા-પિતા માટે અત્યંત ભાવુક બની હતી. લાંબા સમય બાદ પોતાના પુત્રને સામાન્ય રીતે ખોરાક લેતો જોઈને પરિવારજનોએ સિવિલ હોસ્પિટલના તબીબો અને સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. હાલમાં બાળક સંપૂર્ણ સ્વસ્થ છે અને કોઈ મોટી જટિલતા વિના તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ટ્રેકિયો-ઈસોફેજિયલ ફિસ્ટુલા (TOF) જેવી ખામી દર 2500થી 4000 જીવંત જન્મમાંથી એક બાળકમાં જોવા મળે છે. પરંતુ જ્યારે અન્નનળીના બંને છેડા ખૂબ દૂર હોય ત્યારે ‘ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી’ અસરકારક વિકલ્પ બને છે. આ સર્જરીની સફળતા દર લગભગ 85થી 90 ટકા જેટલી માનવામાં આવે છે. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલોમાં આ પ્રકારની સારવાર ખૂબ ખર્ચાળ હોય છે, પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ સુવિધા દર્દીઓને સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવે છે.
ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે, આ પ્રકારની સર્જરી માટે અનુભવી ટીમ, આધુનિક સાધનો અને લાંબા સમયની સારવાર વ્યવસ્થાની જરૂર પડે છે. બાળકની યોગ્ય પોષણ વ્યવસ્થા અને યોગ્ય સમયે સર્જરી કરવી સફળતાની મુખ્ય બાબત છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા એક વર્ષમાં સિવિલ હોસ્પિટલના બાળ સર્જરી વિભાગ દ્વારા આવા 7 જટિલ કેસ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલની આ સફળતા ફરી એકવાર સાબિત કરે છે કે સરકારી હોસ્પિટલોમાં પણ અત્યાધુનિક તબીબી સારવાર અને નિષ્ણાત સેવાઓ ઉપલબ્ધ છે. એક માસૂમ બાળકને સામાન્ય જીવન તરફ પાછું લાવનાર આ ઓપરેશન તબીબી ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ તરીકે જોવામાં આવી રહ્યું છે.