મારું શહેર શાળા નં. 19ના શિક્ષક સામેની ફરિયાદની ન્યાયિક તપાસની માંગ: સ્થાનિક શિક્ષકો અને SMC સભ્યોએ શાસનાધિકારીને આવેદન પાઠવ્યું.
જામનગર: શહેરની શાળા નંબર 19ના શિક્ષક રામભાઈ કરજે સામે કરવામાં આવેલી ફરિયાદને લઈને હવે નવો વળાંક આવ્યો છે. સ્થાનિક શિક્ષકો તેમજ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (SMC)ના સભ્યોએ આ ફરિયાદને ખોટી અને પાયાવિહોણી ગણાવી સમગ્ર મામલાની ન્યાયિક તપાસ કરાવવાની માંગ સાથે શાસનાધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે.
આવેદનમાં જણાવાયું છે કે શિક્ષક રામભાઈ કરજે સામે કરવામાં આવેલા આક્ષેપો તથ્યવિહોણા અને વાહિયાત છે. કોઈપણ વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે તેવા આક્ષેપો કરતાં પહેલાં સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને પારદર્શક રીતે તપાસ થવી જરૂરી છે.
સ્થાનિક શિક્ષકો અને SMC સભ્યોનું કહેવું છે કે શિક્ષક સામે કરવામાં આવેલી ફરિયાદ પાછળનું સત્ય બહાર આવે તે માટે સ્વતંત્ર અને ન્યાયિક તપાસ કરાવવામાં આવે. જો ફરિયાદમાં કોઈ તથ્ય હોય તો તે પણ સામે આવે અને જો ફરિયાદ ખોટી સાબિત થાય તો જવાબદારો સામે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
આવેદનમાં શાસનાધિકારીને વિનંતી કરવામાં આવી છે કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે યોગ્ય અધિકારીની નિમણૂક કરવામાં આવે, જેથી કોઈ નિર્દોષ વ્યક્તિ સાથે અન્યાય ન થાય અને શિક્ષણ જગતની વિશ્વસનીયતા પણ જળવાઈ રહે.
શિક્ષકો અને SMC સભ્યોએ જણાવ્યું હતું કે તેઓ ન્યાયિક તપાસના પરિણામને સ્વીકારવા તૈયાર છે, પરંતુ માત્ર એકતરફી ફરિયાદના આધારે કોઈ શિક્ષકની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તે યોગ્ય નથી. તેથી સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરીને સત્ય હકીકત જાહેર કરવામાં આવે તેવી તેમની મુખ્ય માંગ છે.