મારું શહેર જામનગરમાં બાંધકામના વિવાદે લીધો ઉગ્ર વળાંક, દંપતી પર ચાર શખ્સોનો હુમલો દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં સિમેન્ટ-કાંકરી પડવાની બાબતે બોલાચાલી બાદ મારામારી.
જામનગર: શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મકાનના બાંધકામને લઈને પડોશીઓ વચ્ચે થયેલો વિવાદ હિંસક અથડામણમાં પરિણમ્યો છે. સિમેન્ટ અને કાંકરી પડવાની સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલી બાદ દંપતી પર હુમલો કરાયો હોવાના આક્ષેપ સાથે સીટી ‘સી’ ડિવિઝન પોલીસ મથકે બે મહિલા સહિત ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, દિગ્વિજય પ્લોટ-58, હિંગળાજ ચોક, ગોળના ગોડાઉનવાળી ગલીમાં રહેતા અને મજૂરી કામ કરતા જગદીશભાઈ રમણીકભાઈ નંદાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે તેમના ભત્રીજા રોહિતભાઈ રામજીભાઈ નંદાના ઘરે બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન બાંધકામમાંથી સિમેન્ટ અને કાંકરી તેમના ઘર તરફ પડતા હોવાથી તેમણે આ બાબતે રજૂઆત કરી હતી.
આ રજૂઆતને લઈને બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ફરિયાદ અનુસાર, રોહિતભાઈ નંદા ઉશ્કેરાઈ જઈ ફરિયાદી સાથે ગાળાગાળી કરી અને લાકડાના ધોકાથી હુમલો કર્યો હતો.
ઘટના દરમિયાન ફરિયાદીના પત્ની વચ્ચે પડતાં આરોપી નિકીતાબેન રોહિતભાઈ નંદાએ પણ હુમલો કરી તેમના બંને હાથ તથા શરીરના અન્ય ભાગોમાં ઇજાઓ પહોંચાડી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ત્યારબાદ રીનાબેન ધવલભાઈ નંદા અને રેખાબેન રામજીભાઈ નંદા પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને ફરિયાદી દંપતી સાથે ઝપાઝપી કરી પથ્થરમારો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપીઓએ ફરિયાદીના પત્ની અને પુત્રને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. ઉપરાંત જાહેરનામાનો ભંગ કરીને હથિયાર સાથે હુમલો કરવામાં આવ્યો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. પડોશીઓ વચ્ચેનો વિવાદ મારામારી સુધી પહોંચતા સ્થાનિકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.
આ બનાવ અંગે સીટી ‘સી’ ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઘટનાની તમામ વિગતો એકત્રિત કરી વધુ તપાસ શરૂ કરી છે. હાલ બંને પક્ષના નિવેદનો અને અન્ય પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.