ક્રાઇમ જામ ખંભાળિયામાં રખડતા શ્વાનનો આતંક: દાદા-પૌત્ર સહિત ચાર લોકોને બચકા ભર્યા, CCTVમાં કેદ થઈ ઘટના; સ્થાનિકોમાં ભયનો માહોલ
દેવભૂમિ દ્વારકા/જામ ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા શહેરમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. શહેરના વિવિધ રહેણાંક વિસ્તારોમાં એક આક્રમક રખડતા શ્વાને દાદા-પૌત્ર સહિત કુલ ચાર લોકોને બચકા ભરતા સ્થાનિકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી દૃશ્યો પણ સામે આવ્યા છે, જેમાં શ્વાન લોકો પર અચાનક હુમલો કરતો જોવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરની શ્રીજી સોસાયટી, ખેરાવાડી, ગોવારવાડી અને ધરારનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી એક રખડતો શ્વાન લોકો માટે માથાનો દુખાવો બન્યો હતો. આ શ્વાને અલગ-અલગ સ્થળોએ ચાર લોકોને નિશાન બનાવી બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે.
ઘટનામાં ઘાયલ થયેલા લોકોમાં દાદા અને તેમના પૌત્રનો પણ સમાવેશ થાય છે. હુમલા બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘાયલોને બચાવ્યા હતા. બાદમાં તેમને જરૂરી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વીડિયોમાં શ્વાન અચાનક રસ્તા પરથી પસાર થતા લોકો પર હુમલો કરતો જોવા મળે છે, જેના કારણે સ્થાનિકોમાં વધુ ભય ફેલાયો છે.
સ્થાનિક રહિશોનું કહેવું છે કે વિસ્તારમાં રખડતા શ્વાનોની સંખ્યા સતત વધી રહી છે અને અગાઉ પણ આવા બનાવો બન્યા છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે રસ્તા પર નીકળવું જોખમી બનતું જઈ રહ્યું છે. રહિશોએ સંબંધિત તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં અસરકારક કાર્યવાહી ન થવાનો આક્ષેપ કર્યો છે.
ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહિશોએ તંત્ર પાસે રખડતા શ્વાનોને પકડી યોગ્ય સ્થળે ખસેડવાની, રસીકરણ અને નિયંત્રણ માટે તાત્કાલિક અભિયાન હાથ ધરવાની માંગ કરી છે.
આ ઘટનાને પગલે સમગ્ર જામ ખંભાળિયા શહેરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે સ્થાનિક લોકોની નજર પાલિકા તંત્ર દ્વારા લેવામાં આવનારા પગલાં પર મંડાઈ છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય.