મારું શહેર ભવનેશ્વર પાટિયા પાસે રહેણાક મકાનમાંથી રૂ.70 હજારનો વિદેશી દારૂ ઝડપાયો, એક આરોપી ઝડપાયો.
ભાણવડ: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ખાસ ડ્રાઇવ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે. ભવનેશ્વર ગામના પાટીયા પાસે આવેલા એક રહેણાક મકાનમાં દરોડો પાડી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની 112 બોટલ સહિત કુલ રૂ.70,112નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે દારૂનો જથ્થો રાખનાર એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે જથ્થો આપનાર તરીકે દર્શાવવામાં આવેલા અન્ય આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાયની સૂચના અનુસાર પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારના ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ ખંભાળિયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી મીત રૂદલાલના માર્ગદર્શન હેઠળ ગણનાપાત્ર કેસો શોધી કાઢવા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાણવડ પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. કોઠિયાએ પણ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને આવી પ્રવૃત્તિઓ અંગે બાતમી મેળવી અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
આ દરમિયાન ભાણવડ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ સામરાભાઈ જામ, એએસઆઈ કિશોરસિંહ ચંદુભા જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા અને પોલીસ કોન્સ્ટેબલ લાલાભાઈ ફોગાભાઈ ખાટલીયાને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે ભવનેશ્વર ગામના પાટીયા સામે આવેલા વિસ્તારમાં ગાત્રાળ માતાજીના મંદિરની સામેના રહેણાક મકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન મકાનમાંથી BLACK CLASSIC WHISKY 750 MLની 112 શીલબંધ બોટલો, જેના પર 42.8 ટકા V/V દર્શાવેલું હતું, મળી આવી હતી. પોલીસે કુલ રૂ.70,112ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કેસમાં પોલીસે દાસાભાઈ રાજાભાઈ કોડીયાતર, રહે. ભવનેશ્વર ગામના પાટીયા સામે, ગાત્રાળ માતાજીના મંદિરની સામે, ભાણવડ,ને દારૂનો જથ્થો રાખવાના આરોપસર ઝડપી પાડ્યો છે. જ્યારે પોલીસ દ્વારા દર્શાવવામાં આવેલા અન્ય આરોપી જીવાભાઈ લખમણભાઈ રબારી, હાલ રહે. વિજરાણા ગામ અને મૂળ વિજફાડિયા નેશ, બગદવર ગામ, જિલ્લો પોરબંદર, ઘટનાસ્થળે હાજર મળી આવ્યા ન હતા. પોલીસ તપાસમાં તેમને જથ્થો આપનાર તરીકે દર્શાવવામાં આવ્યા છે અને તેમની શોધખોળ તથા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ સમગ્ર કાર્યવાહી ભાણવડ પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. કોઠિયાના માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. કામગીરીમાં એએસઆઈ જયદેવસિંહ ભીખુભા જાડેજા, દિવ્યરાજસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા, કિશોરસિંહ ચંદુભા જાડેજા, હેડ કોન્સ્ટેબલ નારણભાઈ પબાભાઈ બેલા, જીતુભાઈ સામરાભાઈ જામ, વિપુલભાઈ ગગુભાઈ હેરભા, પોલીસ કોન્સ્ટેબલ યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા, લાલાભાઈ ફોગાભાઈ ખાટલીયા અને જગાભાઈ કાનાભાઈ નંદાણીયાએ ભાગ લીધો હતો. સમગ્ર કેસની આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ સામરાભાઈ જામ દ્વારા હાથ ધરવામાં આવી છે.