જાહેરાત
તાજા સમાચાર
સોમનાથમાં શિવભક્તિનો રંગ છવાયો, પાલખી યાત્રામાં ઉમટ્યો ભક્તોનો મહાસાગર | અમેરિકાના બફેલો એરપોર્ટ પર જેટ ફ્યુઅલ ખૂટ્યું, વિમાનો અટવાયા; NOTAM જાહેર. | જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આવેદન. | ભારત-પાકિસ્તાન સરહદ બંધ છતાં લગ્નસંબંધો યથાવત્, 150થી વધુ પાકિસ્તાની દુલ્હનો હવાઈ માર્ગે ભારત આવી | શેરબજારમાં જોરદાર રિકવરી: સેન્સેક્સ ૨૦૦થી વધુ પોઈન્ટ ઉછળ્યો. | ભાણવડ પંથકમાં એક જ રાતમાં પાંચ અજગરનું રેસ્ક્યુ. | જાણો, તા. 24 ઓગસ્ટ, સોમવાર અને શ્રાવણ સુદ બારસનું રાશિફળ. | તારીખ : ૨૪/૦૮/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. | ગુજરાતના CM-DyCM અંગે અફવા ફેલાવનાર સામે FIR | ગિનીની રાજધાની કોનાક્રીમાં મોટી દુર્ઘટના |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૯૧ વાર જોવાયેલ 3 અઠવાડિયા પેહલા

મારું શહેર ગુરુપૂર્ણિમાએ જામનગરની સંસ્થાનો અનોખો વિશ્વવિક્રમ: 10 ફૂટનો મહાકાય બાજરાનો રોટલો ભોજલરામ બાપાને અર્પણ.

ગુરુપૂર્ણિમાએ જામનગરની સંસ્થાનો અનોખો વિશ્વવિક્રમ: 10 ફૂટનો મહાકાય બાજરાનો રોટલો ભોજલરામ બાપાને અર્પણ.

જામનગર: ગુરુપૂર્ણિમાના પાવન અવસરે જામનગરની એક સંસ્થાએ અનોખી ધાર્મિક સેવા અને શ્રદ્ધાનું ઉદાહરણ પૂરું પાડતાં 10 ફૂટ વ્યાસનો મહાકાય બાજરાનો રોટલો તૈયાર કરીને સંત શિરોમણી જલારામ બાપાના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાના ચરણોમાં અર્પણ કર્યો છે. આ અનોખા કાર્યને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા વિશ્વવિક્રમ તરીકે માન્યતા આપતા જામનગરની સંસ્થાને નવા કીર્તિમાનનું પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું છે.

અમરેલી જિલ્લાના ભોજલધામ (ફતેપુર) ખાતે યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સમાપન પ્રસંગે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ અને જલારામ મંદિર-હાપા, જામનગરના સંયુક્ત ઉપક્રમે આ વિશાળ રોટલો તૈયાર કરવામાં આવ્યો હતો.

 

ગુરુપૂર્ણિમાના દિવસે પ્રાપ્ત થયેલા પ્રમાણપત્ર સાથે સંસ્થાએ વિશ્વસ્તરે એક નવો રેકોર્ડ સ્થાપિત કરવાનો દાવો કર્યો છે. ટ્રસ્ટના આગેવાનોના જણાવ્યા અનુસાર, આ પહેલનો મુખ્ય હેતુ માત્ર વિશ્વવિક્રમ બનાવવાનો નહોતો, પરંતુ સેવાભાવ, અન્નદાન અને ભારતીય સંસ્કૃતિનો સંદેશ વિશ્વ સુધી પહોંચાડવાનો હતો.

ઉલ્લેખનીય છે કે, જલારામ સેવા ટ્રસ્ટ અગાઉ પણ જામનગરમાં 7 ફૂટ વ્યાસનો બાજરાનો રોટલો તૈયાર કરીને સંત જલારામ બાપાને અર્પણ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે રેકોર્ડ નોંધાવી ચૂક્યું છે. હવે તે જ પરંપરાને આગળ વધારતાં આ વખતે 10 ફૂટ વ્યાસનો મહાકાય રોટલો તૈયાર કરીને વધુ એક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે.

આ પવિત્ર પ્રસંગે ભોજલધામના મહંત પૂજ્ય ભક્તિરામ બાપુ, ભુપેન્દ્રભાઈ જોષી, નિખિલભાઈ પટેલ, ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમના હોદ્દેદારો, જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ તથા ટ્રસ્ટના સભ્યો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

 

ટ્રસ્ટના આગેવાનોએ જણાવ્યું કે જલારામ બાપાના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપા પ્રત્યે અખંડ શ્રદ્ધા વ્યક્ત કરવા, તેમજ સમાજમાં સેવા, સમર્પણ અને અન્નદાનની ભાવનાને પ્રોત્સાહિત કરવા માટે આ અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વવિક્રમ માટે જરૂરી તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંસ્થાને સત્તાવાર પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું છે.

ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે જામનગરની સંસ્થાએ સ્થાપેલો આ વિશ્વવિક્રમ ધાર્મિક આસ્થા, સેવાભાવ અને ભારતીય સાંસ્કૃતિક પરંપરાના અનોખા પ્રતીક તરીકે ચર્ચાનો વિષય બન્યો છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ